Saturday, October 19, 2013

ભાઇ, અમારું ટો ઘારી કલ્ચર


ભાઇ ઓણ ઘારી ખાવાના કેની?’

ખાવાના જ કેની. ઘારી વગર રેવાય કે?’

પણ ઘારીના ભાવ બો વધી ગીયા એમ કેય?’

ભાવનું હું? એ તો વયધા કરે. ભાવ વધે એટલે આપણે ખાવાનું થોડું માંડી વાળવાનું?’

હમણાં સુરતીલાલાઓ દેશ-દુનિયાના બાકી બધા મહત્ત્વનાં મુદ્દાઓ બાજુએ રાખીને માત્ર ઘારી અંગેની ગહન ચર્ચાઓમાં જ પડ્યા હશે એ વાતમાં કોઇ બે મત નથી. કારણકે, ચંદની પડવો નજીક છે અને સુરત માટે ચંદની પડવો એટલે ઘારી ખાવા માટેનો વિશેષ ઉત્સવ! આમ પણ આ શહેરનું કલ્ચર જ કંઇક અલગ છે, જ્યાં મોટા ભાગના તહેવારોમાં અને સામાન્ય દિવસે ખાણી-પીણીની ચીજોનું વિશેષ મહત્ત્વ રહ્યું છે. બાકી, ‘સુરતનું જમણ અને કાશીનું મરણઅમસ્તુ જ થોડું કહેવાય છે?

આ શહેરે આમ તો ગુજરાતને અને દેશને ઘણી બધી વાનગીઓ આપી છે. જેમાં લોચો, ઇદડા અને રસાવાળા ખમણ કે આલુપુરી જેવી વાનગીઓનો સમાવેશ કરી શકાય. પણ એ બધી વાનગીઓમાં ઘારી દેશ-વિદેશમાં અત્યંત વખણાઇ છે. ચંદની પડવાના પંદર વીસ દિવસ પહેલા જ સુરતી લાલાઓ ઘારી ખરીદવા માટે પોતાનાં ચક્રો ગતિમાન કરી દે છે અને દેશદેશાવરમાં રહેતા પોતાનાં ભાઇભાડુંઓને થોકબંધ ઘારી મોકલવાની તજવીજ શરૂ કરી દે છે. ઘારી સુરત શહેરની સંસ્કૃતિમાં વણાઇ ગયેલી વાનગી છે. શરદપૂનમ તો આખા ગુજરાતમાં ઉજવાય છે પરંતુ ઘારી ખાવા માટેનો આ વિશેષ ઉત્સવ માત્ર સુરત અને દક્ષિણ ગુજરાતનાં કેટલાંક વિસ્તારોમાં જ ઉજવવામાં આવે છે. ચંદની પડવાને દિવસે સુરતનાં લોકો ઘારી સાથે ભૂંસું લઇને શહેરનાં રસ્તાઓ પર ઉતરી પડે છે અને ગૌરવ પથનાં ફૂટપાથ પર અથવા પોતાનાં મકાનને ઘાબે જઇને લહેરીલાલાઓ લહેરથી ઘારી અને ભૂંસાની જિયાફત ઉડાવે છે.

ઘારીનો ઇતિહાસ બહુ જૂનો નથી. લગભગ ૧૫૦થી ૨૦૦ વર્ષ જૂનો જ ગણોને. ઘારી માટે એમ કહેવાય છે કે સુરતનાં દેવશંકર શુક્લ નામના બ્રાહ્મણે સંત નિર્મળદાસજીને પહેલી વખત માવા અને ઘીમાંથી ઘારી બનાવીને ખવડાવી હતી. સંત નિર્મળદાસજીને દેવશંકર શુક્લની ઘારી એટલી બધી ભાવી કે તેમણે આ મીઠાઇ ખાતા ખાતા દેવશંકરને આશીર્વાદ આપ્યાં હતાં કે તમારા દ્વારા બનાવાયેલી આ ઘારી દેશ વિદેશમાં અત્યંત લોકપ્રિય બનશે. અને થયું પણ એવું જ. આજે ચંદની પડવાના તહેવાર નિમિત્તે લગભગ ૨૦ હજાર કિલોથી વધુ ઘારીની વિદેશમાં નિકાસ કરવામાં આવે છે.

દેવશંકર શુક્લાએ ૧૮૩૮માં સુરતનાં લાલગેટ પાસેદેવશંકર ઘારીવાળાનાં ટ્રેડમાર્ક હેઠળ ઘારી અને ફરસાણની દુકાન શરૂ કરી. હતી ઘારીનાં ઇતિહાસ સાથે એક બીજો પણ રસપ્રદ કિસ્સો સંકળાયેલો છે. ૧૮૫૭નાં આપણાં પહેલા વિપ્લવ વખતે તાત્યા ટોપે તેમનાં સૈન્ય સાથે થોડાં દિવસ સુધી સુરત ખાતે રોકાયા હતાં. આ દરમિયાન દેવશંકર શુક્લએ તાત્યા ટોપેની મહેમાનનવાજી કરતા તેમને ઘારી ખવડાવી હતી. તાત્યા ટોપેને દેવશંકર શુક્લાની ઘારી એટલી બધી ભાવી કે તેમણે દેવશંકરને તેમનાં સૈન્યને પણ ઘારી ખવડાવવાની વિનંતી કરી. ખાવા કરતા ખવડાવવાનાં શોખીન અને મહેમાન નવાજીમાં અવ્વલ એવાં સુરતી મિજાજના દેવશંકર શુક્લાએ બીજા દિવસે તેમનાં સૈન્યને પણ ઘારી ખવડાવી. આ દિવસ હતો આશો વદ પડવાનો એટલેકે ચંદની પડવાનો. આથી ત્યારથી સુરતમાં ઘારી ખાઇને ચંદી પડવાનો ઉત્સવ ઉજવવાની શરૂઆત થઇ હતી.

જોકે ચંદની પડવાના તહેવાર વિશે એક લોકવાયકા એવી પણ છે કે સુરતનાં ખલાસીઓનું .ખાવા માટે જાય છે. જોકે આ વાયકામાં તથ્ય કેટલુ છે એ વિશે કંઇ નક્કી નથી. પરંતુ એક વાત સાચી કે શરૂઆતનાં વર્ષોમાં સુરતનાં લોકો મરણ વખતે જ ઘારી ખાતા. પણ સમય જતાં આ પ્રથામાં મસમોટું ગાબડું પડ્યું અને સુરતી લાલાઓએ દુખદ પ્રસંગોએ ખવાતી ઘારીને ચંદી પડવાના ઉત્સવ સાથે સાંકળીને ઘારીપર્વ જ ઊજવવાનું શરૂ કરી દીધુ!

શરૂઆતી વર્ષોમાં રવા અને ઘીમાંથી સાદી ઘારી બનતી હતી. પરંતુ જેમ જેમ સમય બદલાતો ગયો તેમ ઘારીની બનાવટમાં  પણ જાતજાતનાં પ્રયોગો થતા રહ્યાં, જેને પગલે આજે બજારમાં ત્રણ ચાર પ્રકારની ઘારીઓ ઉપલ્બધ છે. હમણાં મુખ્યત્વે બજારમાં ત્રણ પ્રકારની ઘારીઓ મળે છે. જેમાં એક સાદી એલચી ઘારી, બદામ પિસ્તા ઘારી અને કેસર બદામ પિસ્તા ઘારી મુખ્ય છે. આ ઉપરાંત બાળકોને ભાવે એવી ચોકલેટ ઘારી અને મેંગો મેજીક જેવી ઘારીઓ પણ બજારમાં ઉપલબ્ધ છે. મજાની વાત એ છે કે ડાયાબિટીસનો ભોગ બનેલા અને મીઠી વાનગીઓના શોખીન સુરતી લાલાઓના ચંદની પડવાના રંગમાં ભંગ પડે એ માટે છેલ્લાં કેટલાક વર્ષોથી સુગર ફ્રી ઘારી પણ મળે છે. એટલે ડાયાબિટીસ હોય તો શું થઇ ગયું? અમે તો ઘારી ખાવાના એટલે ખાવાના જ.

જોકે કોઇ વાર્તાની રાજકુમારીની જેમ દિવસે ન વધે એટલી રાતે અને રાતે ન વધે એટલી દિવસે વધતી જ જતી મોંઘવારીની અસર ઘારી પર પણ થઇ છે. ચાલુ વર્ષે બજારમાં ૪૬૦થી ૪૮૦ રૂપિયા કિલો સુધીની ઘારી બજારમાં ઉપલબ્ધ છે. આ વર્ષે ઘારીનાં ભાવમાં કીલો દીઠ ૪૦ થી ૫૦ રૂપિયાનો વધારો નોંધાયો છે. પણ આ ભાવ વધારો કંઇ નવો નથી. ભાવો તો દર વર્ષે જ વધતા જ હોય છે. પરંતુ એનાથી સુરતનાં લોકોને કંઇ બહુ ફરક પડતો નથી. અહીં જથ્થાબધ ઘારી ખરીદાય છે અને ખવાય છેસુરત સહિત ગુજારાતભરમાં પોતાની ઘારી માટે પ્રખ્યાત એવા શાહ જમનાદાસ ઘારીવાલાનાં કુંજન ઘારીવાલાએ ગુજરાત ગાર્ડિયનને જણાવ્યું હતું કે, ‘સાર્વત્રિક વધતી મોંઘવારીને પગલે સ્વભાવિક છે કે ઘારી અને મીઠાઇઓનાં ભાવમાં પણ વધારો થાય, જેની સીધી અસર ગ્રાહકોની ખરીદી પર પણ થાય. પરંતુ કોઇ પણ વસ્તુ પર સીધો કાપ મૂકવો સુરતીઓનો સ્વભાવ નથી. એટલે કિલો ઘારી ખરીદતો ગ્રાહક પાંચસો ગ્રામ લેશે, પણ સમૂળગી જ ઘારી નહીં ખાય એવું તો નહીં જ બને.’

ગયા વર્ષનાં આંકડા મુજબ ગયે વર્ષે સુરતનાં લોકો ચંદની પડવાનાં તહેવાર નિમિત્તે કુલ આઠ કરોડ રૂપિયાની એક લાખ વીસ હજાર કિલો ઘારી અને ભૂંસુ પેટમાં પધરાવી ગયા હતાં. ચંદની પડવાનાં ઉત્સવને સુરતી લોકોએ તેમની અનોખી ઉજવણી વડે એટલો તો પ્રખ્યાત કરી દીધો છે કે હવે કારતક વદ એકમ એટલેકે ચંદની પડવાના દિવસે ગુજરાતી કેલેન્ડરોમાંસુરત-ડુમસ ઉત્સવપણ લખાયેલું હોય છે. ખાણી પીણી માટેનો આ એકમાત્ર એવો ઉત્સવ હશે કે આ દિવસે સુરત પોલીસે સુરતનાં રસ્તાઓ પર અને ખાસ કરીને ગૌરવપથ તરફનાં વિસ્તારોમાં વિશેષપણે બંદોબસ્ત ગોઠવવો પડતો હોય છે.

સુરતનાં લોકોને ઘારીનો એવો તો ક્રેઝ છે કે અહીંના લોકો શરદ પૂનમનાં દિવસથી ઘારી ખાવાનું શરૂ કરી દે છે અને ચંદની પડવાના બીજા દિવસ સુધી તેઓ ઘારી ખાય છે. હવે આ વર્ષે કેટલી ઘારી ખવાશે એ જોવું રહ્યું. પરંતુ આ શનિવારે ચંદની પડવો આવી રહ્યો છે અને બજારોમાં મીઠાઇવાળાઓને ત્યાં ઘારીનાં એડવાન્સ બુકિંગ શરૂ થઇ ગયાં છે. અને વિદેશમાં વસતા સુરતી લાલાઓ અને ગુજરાતીઓને માટે જથ્થાબંધ ઘારી પહોંચી પણ ગઇ છે. આ વર્ષે ઘારી વધુ માત્રામાં ખવાશે કે ઓછી એ તો પછીનો મુદ્દો છે પણ આ વખતે ઘારી બહું જ ટેસથી અને જલસાભેર ખવાશે એ વાત પાકી. કારણકે આ વર્ષે ચંદની પડવો વિકએન્ડમાં આવી રહ્યો છે આથી સુરતી લોકો વિકએન્ડનો પૂરેપૂરો લાભ ઊઠાવશે.


તમે સુરતમાં રહેતા હો અને મૂળ સુરતના નહીં હો તો તમે પણ અસલ સુરતીઓની જેમ કંદોઇની દુકાને જઇને ઘારી ખરીદજો અને અદ્લ સુરતી સ્ટાઇલમાં ચંદ્રની શીતળ ચાંદનીમાં શહેરનાં ફૂટપાથો પર બેસીને ભૂંસુ અને કોલ્ડ્રિંક્સની મિજલસ માણજો. આખરે કોઇ પણ શહેરને જાણવું હોય અને માણવું હોય તો તે શહેરનાં કલ્ચરથી સુપેરે પરિચિત થવું પડે. અને ભાઇ, અમારું કલ્ચર ટો ખાણીપીણીનું છે. લોચા ખમણનું અને ઘારીનું છે! અમારી વાત તો ખાવાથી જ શરૂ થાય ને પતે હો ખાવાથી જ!

Tuesday, October 8, 2013

પશ્ચિમનાં સૂરોનાં ખરા ઉસ્તાદઃ ઝુબીન મહેતા

હમણાં થોડાં દિવસો અગાઉ કાશ્મીરમાં સંગીતનાં એક કાર્યક્રમને લઇ ભારે વિવાદ મચ્યો હતો. કાશ્મીરનાં વિરોધ પક્ષો અને અલગતાવાદીઓએ ગઇ સાતમી સપ્ટેમ્બરે યોજાનારાં એક કાર્યક્રમને અટકાવવા માટે ભારે મથામણ કરી હતી. કાશ્મીર ખીણમાં યોજાઇ ગયેલો તે કાર્યક્રમ હતો વિશ્વ વિખ્યાત મ્યુઝિક કંડકટર ઝુબીન મહેતાનોઅહેસાસ--કાશ્મીર’! જેને યોજવા પાછળનો મુખ્ય હેતુ જ એ હતો કે છેલ્લાં કેટલાક વર્ષોથી ખીણમાં ચાલી રહેલા તણાવને સંગીતનાં માધ્યમથી ઓછો કરી શકાય. પરંતુ જેની પ્રકૃતિમાં જ શાંતિ પામવુ નથી લખ્યું એવા અલગતાવાદીઓએ અને અન્ય વિઘ્નસંતોષીઓએ તેમાં વિરોધનાં સૂર રેલાવવા છતાં તેમને સફળતા હાંસલ થઇ ન હતી. શ્રીનગરમાં દાલ સરોવર નજીકનાં શાલીમાર ગાર્ડનમાં યોજાયેલા ઝુબીન મહેતાના આ કાર્યક્રમને અસાધારણ સફળતા મળી હતી, સેંકડો હિંદુ-મુસ્લિમોએ સાથે બેસીને સંગીતનાં આ જલસાની મિજલસ માણી હતી.


અહેસાસ--કાશ્મીરકાર્યક્રમને લઇને કાશ્મીરમાં થયેલાં વિવાદની સાથે ઝુબીન મહેતાનું નામ ફરી માધ્યમોમાં ઝળક્યું છે. જોકે આખાય વિવાદમાં ઝુબીન મહેતાની ભૂમિકા અત્યંત કાબિલેદાદ રહી હતી. કારણકે સામાન્ય રીતે જ્યારે આવા કોઇ વિવાદો વકરે છે ત્યારે કલાકારો પણ અળવીતરા વિધાનો કરીને વિવાદની આગમાં  ધુમાળામાં ફૂંક મારવાનું કામ કરવામાંથી બાકાત નથી રહી શકતાં.  પરંતુ ઝુબીન મહેતા ખુદ આખા વિવાદથી થોડાં છેટા રહ્યાં અને કશુંય બોલ્યા વિના કાશ્મીરના લોકોને એક ઉત્તમ કક્ષાનો સંગીતનો જલસો કરાવી ગયા. તો ઠીક, જતાં જતાં એમ પણ કહેતા ગયા કે કાશ્મીર તેમને ફરી બોલાવશે તો તેઓ ફરીથી કાશ્મીર આવવાનું પસંદ કરશે. વેસ્ટર્ન મ્યુઝિક પસંદ કરતી અને તેનાં તાલે ઠુમકા લગાવતી આજની યુવા પેઢી કદાચ ઝુબીન મહેતાનાં નામથી અપરિચિત પણ હોઇ શકે છે પરંતુ ઝુબીન મહેતા આંતરરાષ્ટ્રીય સંગીતમાં ઘણું મોટુ અને સન્માનનીય નામ છે.

૧૯૩૬ની ૨૯મી એપ્રિલે મુંબઇનાં પારસી પરિવારમાં જન્મેલા ઝુબીન મહેતાને સંગીત વારસામાં જ મળ્યું હતું. બોમ્બે સિમ્ફની ઓર્કેસ્ટ્રાનાં શોધક અને અંગ્રેજોનાં જમાનાનાં વાયોલિન વાદક એવા સંગીતકાર પિતા મેહલી મહેતા પાસેથી તેમણે પ્રારંભિક સંગીતની તાલીમ લીધી હતી. બાદમાં પ્રી-મેડિકલની તૈયારીઓ કરતા કરતા ૧૯૫૪માં એક દિવસ ઝુબીન મહેતાએ માત્ર સંગીતમાં જ કારકિર્દી બનાવવાનાં આશયથી ઓસ્ટ્રિયાના વિયેનાની વાટ પકડી અને ત્યાં વિધિવત સંગીતની તાલીમ લેવાની શરૂઆત કરી. વિયેનાની પ્રખ્યાત એવી એકેડેમી ઓફ મ્યુઝિકમાંથી આજે પણ જેને સમજવાનું તો ઠીક પણ તેને માણવા માટે પણ થોડું માથુ ખંજવાળવુ પડે એવાં વેસ્ટર્ન ક્લાસિકલ સંગીતનો તેમણે અભ્યાસ શરૂ કર્યો અને જોતજોતામાં તેમાં પારંગત પણ થયાં. ૧૯૬૧નું વર્ષ આવે ત્યાં સુધીમાં તો ૨૫ વર્ષનાં યુવાન ઝુબીને મ્યુઝિક કંડક્ટર તરીકે કાઠું કાઢ્યું હતું. તેઓ ઓસ્ટ્રિયા, જર્મની અને ઇઝરાયેલ જેવાં દેશોનાં વિવિધ ફિલહાર્મોનિક ઓર્કેસ્ટ્રામાં કંડક્ટર તરીકેની જવાબદારી નિભાવી ચૂક્યાં હતાં.

હમણાં સુધીમાં ઝુબીન વિશ્વનાં ખ્યાતનામ ફિલહાર્મોનિક ઓર્કેસ્ટ્રામાં મ્યુઝિક ડિરેક્ટરની ભૂમિકા ભજવી ચૂકયાં છે. તેઓ સંગીતનાં જે ક્ષેત્રમાં એટલેકે વેસ્ટર્ન ક્લાસિકલ સંગીતનાં ક્ષેત્રમાં કામ કરી રહ્યાં છે એમાં મ્યુઝિક કંડક્ટર અને ડિરેકટર પર જ બધો મદાર રાખવામાં આવતો હોય છે, જેમાં એક વ્યક્તિએ બહુ મોટા એવા વૃંદને એકસાથે સાચવવાનું હોય છે. જો એક વ્યક્તિથી પણ આમતેમ થઇ જાય તો આખા કાર્યક્રમમાં ઉથલપાથલ મચી શકે છે. આમ, આ માટે સંગીતનાં જ્ઞાનની સાથે કુશળ વહીવટનું જ્ઞાન હોવું પણ એકદમ જરૂરી છે. આ બાબતે ઝુબીન એકદમ સવાયા સાબિત થયાં છે, જ્યાં ડઝનબંધ ઓર્કેસ્ટ્રામાં કંડકટરની ભૂમિકા ભજવીને જાતજાતનાં સંગીતકારો સાથે તેમણે ખૂબ જ કુશળતાથી કામ પાર પાડીને અદભુત સંગીત પીરસ્યું છે.

૧૯૬૧થી ૧૯૬૯ સુધી તેઓ કેનેડાનાં પ્રખ્યાત મોન્ટ્રીયલ સિમ્ફની ઓર્કેસ્ટ્રાનાં ડિરેક્ટર રહ્યાં હતાં. આ દરમિયાન તેમનાં જીવનમાં એક એવો તબક્કો પણ આવ્યો હતો જ્યારે વિયેનામાં તેમની પાસે કોઇ કામ ન હતું. પરંતુ તેમનાં કપરા દિવસો દરમિયાન ઇઝરાયેલથી તેમનાં પર એક ટેલિગ્રામ આવે છે કે જો તેમનાંથી ઇઝરાયેલ અવાતુ હોય તો આવી જવું. આથી તેઓ તેમનાં પરિવાર સાથે તાબડતોબ ઇઝરાયેલ પહોંચે છે અને ઇઝરાયેલ ફિલહાર્મોનિક ઓર્કેસ્ટ્રાનાં ડિરેક્ટર બને છે.

ઇઝરાયેલમાં વર્ષો સુધી સંગીતમાં તેમણે આપેલા વિશિષ્ટ પ્રદાનને કારણે ૧૯૯૧માં ઇઝરાયેલની સરકારે તેમને  ઇઝરાયેલી પ્રેસિડેન્શિયલ એવોર્ડ ઓફ ડિસ્ટિંક્શનનાં એવોર્ડથી નવાજ્યાં હતાં. આ એવોર્ડ એનાયત કરતી વખતે ઇઝરાયેલનાં તત્કાલીન રાષ્ટ્રપતિ શિમોન પેરેસે તેમના માટે કહ્યું હતું કે, ‘તેઓ ભલે એક સંગીતકાર તરીકે અહીં આવ્યાં હોય પરંતુ આજ સુધી ઇઝરાયેલનાં સંગીતમાં તેમનાં જેટલું પ્રદાન કોઇએ નથી આપ્યું. તેમનાં આ પ્રદાનને કારણે ઇઝરાયેલ હંમેશા તેમનું આભારી રહેશે.’
હમણાં સુધીમાં ઝુબીન મહેતાએ વિશ્વભરમાં કુલ ૩૦૦૦ જેટલાં શૉ કર્યાં છે. ૧૯૭૮થી તેમણેન્યુયોર્ક ફિલહાર્મોનિક ઓર્કેસ્ટ્રાનું સુકાનપદ સંભાળ્યુ હતું. જે તેમણે છેક ૧૯૯૧ સુધી એટલેકે સતત તેર વર્ષ સુધી સુપેરે સંભાળ્યું હતું. આ સાથે જ વેસ્ટર્ન ઓર્કેસ્ટ્રાના ઇતિહાસમાં તેમણે એક નવો વિક્રમ સર્જયો હતો, કારણ કે એ પહેલાં(પછી પણ!) સતત તેર વર્ષ સુધી કોઇ ડિરેક્ટર પદ પર રહી શક્યુ ન હતું. વૈશ્વિક સ્તર પર આટલી બધી નામના મળવા છતાં ઝુબીન મહેતા એકદમ ડાઉન ટુ અર્થ પર્સનાલિટી છે. તેમની સફળતા માટે સાવ નિખાલસતાથી કહે છે કે તેમને અજાણતામાં જ આટલી બધી સફળતા મળી હતી. બાકી તેમણે સફળતા તરફ ક્યારેય તેમનું ધ્યાન કેન્દ્રિત કર્યું ન હતું. તેમનાં મતે તો તેમણે તેમનું બધું ધ્યાન તેમનાં સંગીત પર જ કેન્દ્રિત કર્યું હતું.

સંગીતમાં તેમનાં પ્રદાનને પગલે ભારત સરકારે તેમને ૧૯૬૬માં પદ્મભૂષણથી સન્માનિત કર્યા હતાં તો ૨૦૦૧માં તેમને પદ્મવિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. તો હમણાં જ તેઓ કાશ્મીરનાં કાર્યક્રમ માટે આવેલા ત્યારે આપણાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દ્વારા તેમને ટાગોર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. હાલમાં ઝુબીન મહેતા ૭૭ વર્ષનાં છે અને છતાં તેઓ વિશ્વભરમાં વિવિધ જ્ગ્યાએ સંગીતનાં શૉ કરે છે. આટલી ઉંમરે પણ તેઓ એકદમ ફિટ અને તરોતાજા છે. આ કદાચ તેમનાં સંગીતની જ કમાલ હશે કે શારીરિક રીતે વૃદ્ધ લાગતી આ વ્યક્તિ હજુય એક જુવાનીયા જેવી તાજગી અને કાર્યક્ષમતા ધરાવે છે.


ઝુબીનનું ઇન્ડિયા કનેકશન

ઝુબીન મહેતા દર બે વર્ષે અચૂકપણે ભારતની મુલાકાત લે છે. તેઓ મુંબઇમાં તેમનાં સંગીતકાર પિતાની યાદમાં મેહલી મહેતા મ્યુઝિક ફાઉન્ડેશનનામની એક સંગીત એકેડમી પણ ચલાવે છે. આ મ્યુઝિક એકેડમી દ્વારા તેઓ તેમનાં પિતાનું ઋણ અદા કરે છે. તેમનાં પિતાની હંમેશાથી એક ઇચ્છા હતી કે ભારતનાં વિદ્યાર્થીઓને પણ વેસ્ટર્ન કલાસિકલ મ્યુઝિક શિખવાની તક મળે. જેથી આ મ્યુઝિક એકેડમીમાં બાળકોને પશ્ચિમી પારંપરિક સંગીતની તાલીમ આપવામાં આવે છે. હાલમાં જ કાશ્મીરનાં કાર્યક્રમ માટે તેઓ જ્યારે ભારત આવ્યાં હતાં ત્યારે તેઓ મુંબઇમાં પોતાની સ્કૂલ સેંટ મેરીની મુલાકાતે પણ ગયાં હતાં. આ દરમિયાન તેમણે સ્કૂલનાં બાળકો સાથે તેમનાં કેટલાંક બાળપણનાં સંભારણા રજૂ કર્યાં હતાં. આ દરમિયાન તેમણે હિન્દી ન શીખી શક્યાની દિલગીરી વ્યકત કરી હતી. ઉપરાંત બાળકો આગળ તેમણે ભારત અને ખાસ કરીને મુંબઇ શહેરનાં પેટ ભરીને વખાણ કર્યા હતાં. સ્કૂલનાં બાળકો સાથે ભાંગ્યા તૂટયા હિન્દીમાં વાત કરતી વખતે તેઓ અત્યંત ભાવુક પણ થઇ ગયાં હતાં.

ઉત્કૃષ્ટ નાટકોની ભરમાર સન્ડે ટુ સન્ડે

વ્હેન ગોડ સેઇઝ ચીયર્સનું એક દ્રશ્ય
અમદાવાદ સહિત ગુજરાતભરનાં નાટ્યરસિકોને દેશનાં શ્રેષ્ઠત્તમ નાટકો માણવાનો લાભ મળી રહે એ માટે અમદાવાદ સ્થિત દર્પણ એકેડમી ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સેગયાં વર્ષથી એક અદભુત કાર્યક્રમ હાથ ધર્યો છે. આ કાર્યક્ર્મ હેઠળ સતત એક અઠવાડિયા સુધી દેશભરનાં દિગ્ગજ નાટ્યકારો અને નાટ્યકલાકારો અમદાવાદ ખાતે ભેગા થાય છે અને નાટ્યરસિકોનાં એક મોટા વર્ગને દેશનાં અદભુત નાટકોની મિજલસ કરાવે  છે. દર્પણ એકેડમી દ્વારા ઉજવવામાં આવતો આ કાર્યક્રમ છેસન્ડે ટુ સન્ડે થીએટર ફેસ્ટિવલ’, જે હેઠળ એક રવિવારથી બીજા રવિવાર સુધીનાં દિવસોમાં આઠ નાટકોની ભજવણી કરવામાં આવતી હોય છે.

આ વર્ષે હજુ હમણાં જસન્ડે ટુ સન્ડે થીએટર ફેસ્ટિવલભજવાઇ ગયો. જેમાં ગુજરાત સહિત મુંબઇ, કલકત્તા અને હૈદરાબાદ જેવાં શહેરોનાં રંગકર્મીઓએ વારાફરતી રોજ પોતાનાં એક એક નાટક ભજવ્યા અને વરસતા વરસાદની વચ્ચે દર્શકોને નાટકોનાં રસમાં તરબોળ કરીને એકથી એક અદભુત નાટકોની ભેટ આપી. દર્પણ એકેડમી અનેસન્ડે ટુ સન્ડે થીએટર ફેસ્ટિવલસાથે સંકડાયેલા અભિનય બેંકર ગુજરાત ગાર્ડિયનને જણાવે છે કે, ‘આ નાટ્ય મહોત્સવનું આયોજન કરવાનો મુખ્ય આશય જ એ છે કે રંગભૂમિના ચાહકોને એક જ સ્થળે રાજ્ય ઉપરાંત દેશ-વિદેશનાં સારામાં સારા નાટકો માણવાનો લ્હાવો આપી શકાય. આ સાથે જ દેશની વિવિધ સંકૃતિઓનો સમન્વય પણ થાય જેનો સીધો લાભ નાટ્યરસિકોને મળી રહે.’  

ખેર, અમદાવાદ ખાતે હાજર નાટ્યરસિકોએ તો આ તમામ નાટકોનો લુફ્ત ઉઠાવ્યો પણ એ લોકોનું શું જેઓસન્ડે ટુ સન્ડે થીએટર ફેસ્ટિવલમાં નથી પહોંચી શક્યાં? વેલ, તેઓ માટે પ્રસ્તુત છે આ તમામ નાટકોની ઝાંખી જેથી મહોત્સવમાં નહીં પહોંચી શકેલા નાટ્ય ચાહકોને પણ ત્યાં ભજવાયેલા નાટકો વિશે યોગ્ય જાણકારી મળી રહે. આ નાટ્ય મહોત્સવમાં ભજવાયેલા તમામ નાટકો સામાન્ય રીતે ભજવાતા નાટકોથી થોડાં હટકે કહી શકાય એવાં હતાં.




વન ઓન વન
વન ઓન વનનું એક દ્રશ્ય
સન્ડે ટુ સન્ડે થીએટર ફેસ્ટિવલનાં પહેલા દિવસે એટલેકે ૨૯મી સપ્ટેમ્બરે નટરાણી ખાતે સૌથી પહેલાંવન ઓન વનનાટક ભજવાયુ હતું. આ નાટકની મુખ્ય ખાસિયત એ હતી કે તેમાં જુદાં જુદાં દસ કલાકારોએ અલગ અલગ દસ મોનોલોગ રજૂ કર્યાં હતાં. નાટકની અંદર તમામ પાત્રો અલગ અને તમામની વાત પણ અલગ. આ તમામમાં જો કોઇ સામ્યતા રહેલી હોય તો એ મુંબઇ શહેર છે! ‘વન ઓન વનનાટકનું દરેક પાત્ર મુંબઇ શહેર સાથે કોઇને કોઇ સંબંધ ધરાવે છે. આ નાટકમાં કોઇ પાત્ર મૂળ મુંબઇ શહેરનું જ છે તો કોઇક બહારથી હિજરત કરીને મુંબઇ આવે છે. કોઇ બોલિવુડમાં પોતાની કારકિર્દી બનાવવા આવ્યું છે તો આ નાટકમાં એક પાત્ર ખુદ મુંબઇ શહેરની સ્ટ્રીટ લાઇટનું જ છે! હિંદી, ઇંગ્લિંશ અને હિંગ્લીશ એમ કુલ ત્રણ ભાષામાં ભજવાયેલું આ નાટક વ્યંગ અને કટાક્ષથી ભરપૂર હતું. આ નાટક કોઇ વ્યક્તિ દ્વારા લિખિત કે નિર્મિત નથી. વન ઓન વનમાં રજીત કપૂર, અમિત મિસ્ત્રી, અનુરાધા મેનન અને ઝફર કરાંચીવાલા જેવાં રાષ્ટ્રીય કક્ષાનાં કલાકારોએ મોનોએક્ટિંગ કરી હતી તો કુણાલ રોય કપૂર, રણજીત કપૂર અને નાદીર ખાન જેવાં દિગ્દર્શકોએ તેનાં દિગ્દર્શનની કમાન સંભાળી હતી.

વ્હેન ગોડ સેઇઝ ચીયર્સ
જીવનની રોજ બરોજની ઘટમાળથી થાકેલો એક માણસ બારમાં બેઠે બેઠો વાઇનનાં ઘૂંટડા ગટગટાવે છે અને અચાનક એક માણસ ત્યાં આવીને તેનો જામ પોતાનાં હાથમાં લઇ લે છે. આથી પીવા બેસેલો માણસ ખિન્નાઇને તેને પૂછે છે કે યે ક્યાં બેહુદગી હે. તો પેલો માણસ પીવા બેસેલી વ્યક્તિને પોતાની ઓળખાણ આપતા કહે છે કે તે પોતે ભગવાન છે. નાટ્યમહોત્સવને બીજે દિવસે વ્હેન ગોડ સેઇઝ ચીયર્સ નાટક ભજવાયું હતું, જેમાં દારુ પીનાર વ્યક્તિનું પાત્ર અભિનેતા સાયરસ દસ્તૂરે ભજવ્યું હતું તો ભગવાનનું પાત્ર ભજવ્યું હતું ટોમ અલ્ટરે!
નાટકની શરૂઆતનાં તબક્કામાં ભગવાને એટલેકે ટોમ અલ્ટરે પીનાર વ્યક્તિ પાસે પોતે ભગવાન છે એની ભાંગજડ કરવી પડે છે. બાદમાં ભગવાન અને માણસ વચ્ચેનાં રસપ્રદ સંવાદોથી ધીમે ધીમે નાટકનો ઉઘાડ થાય છે. નાટકમાં પીનાર વ્યક્તિ ઇશ્વરને હાલમાં ખાડે ગયેલું સમાજકારણ અને રાજકારણને સુધારી આપવાની વાત કરે છે. તો ભગવાન માણસની આગળ સાંપ્રત સમયમાં માણસે પૃથ્વી પર કરેલાં પરિવર્તનો અને ઉપદ્રવો પર કટાક્ષબાણ છોડે છે અને તેને જણાવે છે કે તેની જવાબદારી માત્ર પૃથ્વી અને માણસનાં સર્જનની હતી. આ પછી જે ખુવારીઓ થઇ છે એ ખુવારીઓ માટે માણસ જવાબદાર છે આથી તેને સુધારવાનું કામ પણ માણસનું જ છે. લગભગ સવા કલાકના આ નાટકમાં ટોમ અલ્ટર અને સાયરસ દસ્તૂર પોતાનાં અદભુત સંવાદો દ્વારા દર્શકોને વ્યાકુળ કરી દે છે.

દાસ્તાન ઢાઇ આખર કી
દાસ્તાન ઢાઇ આખર કી
નાટ્ય મહોત્સવનું ત્રીજુ નાટક હતું દાસ્તાન ઢાઇ આખર કી. દિલ્હીનાં લેખક અને અભિનેતા અંકિત ચઢ્ઢા દ્વારા અભિનિત આ નાટકમાં દાસ્તાનગોઇપદ્ધતિથી નાટકની ભજવણી કરવામાં આવી હતી. ‘દાસ્તાનગોઇએ ફારસી શબ્દ છે, જ્યાંગોઇશબ્દનો અર્થ દાસ્તાન કરવાની એક વિશિષ્ટ ઢબ એમ થાય છે. સાંપ્રત સમયમાં દાસ્તાનગોઇ શબ્દ અને લોકકથાપ્રકાર બંન્ને લુપ્ત થઇ રહ્યાં છે ત્યારે અંકિત ચઢ્ઢાએ આ નાટકમાં કબીરનાં જીવન પર દાસ્તાનગોઇ કરીને રસપ્રદ નાટકની સાથોસાથ એક વીસરાઇ રહેલા વારસાને ફરી ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો હતો. અંકિતે આખીદાસ્તાનગોઇમાત્ર એક જ જગ્યાએ બેસીને રજૂ કરી હતી, જેમાં દર્શકો અભિનેતાનાં ઉર્દુ ઉચ્ચારણો પર આફરીન પોકારી ઉઠયા હતાં.

સો મેની સોક્સ
નાટ્ય મહોત્સવનાં ચોથા દિવસે દિગ્દર્શક કસાર ઠાકોર  ‘સો મેની સોક્સનામનું એક જુદાં જ મૂળનું નાટક લઇને આવે છે. આ નાટકની અંદર તિબેટીયન રેફ્યુજીઓની વ્યથાની કથા વર્ણવામાં આવી છે. દિલ્હીની તિબેટીયન રેફ્યુજી કોલોનીમાં એક તિબેટીયન મહિલાને ગોળી વાગતા તે કોમામાં સરી પડે છે, અને બાદમાં આ તિબેટીયન પરિવારે કેટલીય હાલાકીઓનો ભોગ બનવુ પડે છે. આ નાટકની એક વિશેષતા એ હતી કે નાટકનાં પાત્રો મંચ પર જ પોતાનો ગેટઅપ બદલી લેતા હતાં. એક પાત્ર તેનું ગેટઅપ બદલતું હોય ત્યારે બાકીનાં બે પાત્રો એટલી બખૂબીથી અભિનય કરે છે કે દર્શકોને એની જાણ સુદ્ધાં નથી થતી કે મંચ પરનું ત્રીજુ પાત્ર તેનું ગેટઅપ બદલી રહ્યું છે. આ નાટક જ્યારે ભજવાઇ રહ્યું હતુ ત્યારે અચાનક ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. નટરાણીનાં મંચથી પરિચિત લોકોને ખબર જ હશે કે નટરાણીનો મંચ ઓપન એર છે. આમ, જ્યારે તાડામાર વરસાદ તૂટી પડે ત્યારે નાટક અધવચ્ચે બંધ કર્યે જ છૂટકો! પણ કલાકારોએ વરસતા વરસાદમાં પણ પોતાનો અભિનય ચાલુ રાખ્યો  અને ખરા અર્થમાં નાટ્યચાહક કહી શકાય એવા લોકોએ મોટી સંખ્યામાં આ નાટક નિહાળ્યું પણ ખરું!


મેકબેથ ઇન ચોલીએટ્ટમ
કલ્ચર ગાર્ડિયનનાં વાચકોમેકબેથ ઇન ચોલીએટ્ટમથી સુપેરે પરિચિત હશે જ કારણકે અહીં અગાઉ પણ આ વિશે લખાઇ ચૂક્યું છે. નાટ્યમહોત્સવને પાંચમે દિવસે ભજવાયેલા આ નાટકમાં કલાકાર એટ્ટુમનોર પી કાનન કથ્થક નૃત્યની અંદર શેક્સપિયર કૃતમેકબેથલઇને આવ્યાં હતાં. સામાન્ય રીતે અંગ્રેજી નાટકો પ્રાદેશિક ભાષામાં લાવવામાં આવે છે ત્યારે તેમાં પ્રદેશ મુજબ થોડાં ઘણાં ફેરફારો કરવામાં આવતા હોય છે. પરંતુમેકબેથ ઇન ચોલીએટ્ટમમાં મૂળ નાટકનાં સંવાદો જેમનાં તેમ રાખી તેને ભજવવામાં આવ્યાં હતાં. જોકે અહીં નૃત્યકારે માત્ર પોતાનાં હાવભાવ વડે જ દર્શકોને વશીભૂત કર્યા હતાં. બાકી મેકબેથનાં સંવાદો અને સંગીત અગાઉથી જ એકોર્ડ કરીને બેકગ્રાઉન્ડમાં વગાડવામાં આવ્યાં હતાં.


સીતાઝ ડૉટર
મલ્લિકા સારાભાઇ બહુમુખી પ્રતિભા ધરાવનાર વ્યક્તિ છે, નૃત્ય હોય, અભિનય હોય કે સામાજીક નિસ્બત આ તમામ ક્ષેત્રે તેમણે સદૈવ અગ્રેસર ભૂમિકા ભજવી છે. નાટ્યમહોત્સવને છઠ્ઠે દિવસે મલ્લિકા સારાભાઇએ તેમનું વિશ્વપ્રસિદ્ધસીતાઝ ડૉટરરજૂ કર્યું હતું. અહીં એ કહેવાની જરૂર નથી કે સોલો પર્ફોર્મન્સ ધરાવતું આ નાટક જોયા બાદ દર્શકોનાં પ્રતિભાવ કેવા રહ્યાં હશે. જોકે ત્રેવીસ વર્ષ જૂનાં આ નાટકમાં સાંપ્રત સમયની કેટલીક ઘટનાઓને આવરીને તેમાં કેટલાંક બદલાવ કરવામાં આવ્યાં હતાં. નાટકની શરૂઆતમાં ભગવાન રામે એક ધોબીનાં આક્ષેપ બાદ સીતાની અગ્નિપરીક્ષા લેવાનું નક્કી કર્યું ત્યારે સીતાએ જે મનોવેદના અનુભવી હતી તેનું મલ્લિકા સારાભાઇએ તાદ્શ વર્ણન કર્યુ હતું, જ્યાં બાદમાં ધીમે ધીમે નાટક વર્તમાન સમયમાં સ્ત્રીઓ સાથે થઇ રહેલા સામાજીક અન્યાય સુધી આવી પહોંચે છે. નાટકમાં મલ્લિકા સારાભાઇ વારાફરતી જુદી જુદી વાર્તાઓ નેરેટ કરે છે અને બાદમાં તેમણે પોતે જ તમામ વાર્તાનાં પાત્રોનો અભિનય પણ કર્યો હતો.


ઇસ્મત કી ઓરત
સાતમે દિવસે હૈદરાબાદનું સૂત્રધાર ગ્રુપઇસ્મત કી ઓરતનાટક લઇને આવ્યું હતું. ડિરેક્ટર વિનય વર્માનાં  આ નાટકમાં ઉર્દુનાં પ્રખ્યાત વાર્તાકાર ઇસ્મત ચુગતાઇની વાર્તાઓનાં સ્ત્રી પાત્રો વિશેની વાતો કરવામાં આવી હતી. આ નાટકમાં ઇસ્મત ચુગતાઇની ત્રણ જુદી જુદી વાર્તાઓ ત્રણ જુદા જુદા પાત્રો દ્વારા ભજવવામાં આવી હતી. જેમાં સમાજનું સત્ય અને સમાજનો જુદા જુદા વર્ગની સ્ત્રી તરફનો દ્રષ્ટિકોણ અત્યંત બખૂબીથી દર્શાવાયો હતો.

 

ટુ વુમનઃ જ્ઞાન એન્ડ કાદમ્બરી

 

સન્ડે ટુ સન્ડે થીએટર ફેસ્ટિવલને અંતિમ દિવસે અરુણા ચક્રવર્તીનું ટુ વુમનઃ જ્ઞાન એન્ડ કાદમ્બરી રજૂ થયું હતું. અરુણા ચક્રવર્તીની જ નવલકથા જોડાસાન્કોપર આધારિત આ નાટકમાં ટાગોરનાં પરિવાર સાથે સંબંધ ધરાવતી બે સ્ત્રીઓની વાત આલેખવામાં આવી હતી. આ બંને સ્ત્રીઓ તેમનાં પ્રદેશનાં અત્યંત પ્રતિષ્ઠિત પરિવાર સાથે સંબંધ ધરાવતી હોવાને કારણે તેમણે જાહેર જીવનમાં રાખવી પડતી તકેદારીઓની વાત કરવામાં આવી છે. તો ક્યાંક આ નાટકમાં પ્રતિષ્ઠિત પરિવારની સ્ત્રીઓ પણ સામાન્ય સ્ત્રીઓ જેવી જ લાગણીઓ અને સબંધોનાં માપદંડો ધરાવતી દર્શાવાઇ હતી.

 

ગયા વર્ષથી શરૂ થયેલાં આ નાટ્યમહોત્સવ શરૂ કરવા પાછળદર્પણનાં મલ્લિકા સારાભાઇ, યાદવન ચંદ્રન, પ્રિયંકા રામ અને અભિનય બેંકર જેવા અનેક લોકોએ તેમનું અનન્ય યોગદાન આપ્યું છે.

નોંધઃ અહીં લેવાયેલા ત્રણેય ફોટોગ્રાફ્સ ઝેનિથ બેંકરનાં છે.


Friday, October 4, 2013

‘માઇન્ડ ચેન્જ’ કરતી ‘વાઇન્ડ ઓફ ચેન્જ’

એક સમય હતો જ્યારે ગુજરાતમાં શોર્ટ ફિલ્મો અથવા ડૉક્યુમેન્ટરી ફિલ્મો આંગળીને વેઢે ગણી શકાય એટલી સંખ્યામાં તૈયાર થતી. તેમાંય તે ફિલ્મો મોટે ભાગે કોઇ સંસ્થા માટે અથવા કોઇ કેમ્પેઇન માટે તૈયાર થતી. ગુજરાતમાં પહેલાં બની ચૂકેલી કેટલીક શોર્ટ ફિલ્મ્સની ગુણવત્તા પર મોટા પ્રશ્નો ઊઠતા, પણ હવે ટ્રેન્ડ બદલાયો છે અને ગુજરાતની નવી પેઢી ઊંચી ગુણવત્તાની એક પરફેક્ટ પેકેજ કહી શકાય એવી દસ્તાવેજી અને શોર્ટ ફિલ્મો તૈયાર કરે છે. હમણાં ગયા સપ્તાહે જ ઇન્ડિયા ફિલ્મ પ્રોજેક્ટની નેશનલ લેવલની ફિલ્મ મેકિંગની એક સ્પર્ધા યોજાઈ ગઈ. આ સ્પર્ધામાં સ્પર્ધકોએ બહુ ટૂંકા ગાળામાં એક શોર્ટ ફિલ્મ તૈયાર કરવાની હોય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આ સ્પર્ધામાં દેશભરમાંથી ફિલ્મો આવી હતી, જેમાં સુરતની એક ફિલ્મ ગોલ્ડન ફિલ્મ ઓફ ધ યરનો ખિતાબ જીતીને ફર્સ્ટ રનર્સઅપ રહી હતી.

સુરતની એ ફિલ્મ છે, ‘વાઇન્ડ ઓફ ચેન્જ’. આ ફિલ્મના ડિરેક્ટર ચક્ષુ ખાટસૂર્યા અને વિવેક દેસાઈ છે. ઈન્ડિયા ફિલ્મ પ્રોજેક્ટની સ્પર્ધામાં હરીફાઇ શરૂ થયા બાદ સ્પર્ધકોને વિષય આપવામાં આવતો હોય છે. આમ, વિષય અપાયા બાદ સ્પર્ધકોએ પચાસ કલાકના સમયગાળામાં આખી શોર્ટ ફિલ્મ તૈયાર કરવાની હોય છે. આ ટૂંકા ગાળામાં સ્પર્ધકે ફિલ્મની સ્ક્રિપ્ટિંગથી માંડીને શૂટિંગ, વોઇસઓવર અને એડિટિંગ સુધીની પ્રક્રિયાઓમાંથી પસાર થવાનું હોય છે. આમ, જ્યારે ઉતાવળે આંબા પકવવાના હોય ત્યારે ગુણવત્તામાં બાંધછોડ કર્યે જ છૂટકો! પરંતુ  ઈન્ડિયા ફિલ્મ પ્રોજેક્ટની સ્પર્ધા હોય કે પછી અન્ય કોઇ સ્પર્ધા, આ તમામમાં આવતી શોર્ટ ફિલ્મો બિરદાવી શકાય એ સ્તરની આવતી હોય છે.


પચાસ કલાકના ટૂંકા સમયગાળામાં સુરત ખાતે જ સંપૂર્ણપણે તૈયાર થયેલીવાઇન્ડ ઓફ ચેન્જફિલ્મમાં એક રેડિયો સ્ટેશન પર આરજે નૈનાઆઇ એમ ઇન્ડિયાનામનો એક શૉ હોસ્ટ કરતી હોય છે. આ શૉ દરમિયાન શહેરના લોકો નાગરિક તરીકેની પોતાની નૈતિક જવાબદારીઓ અંગેની ચર્ચાઓ કરતા હોય છે. કોઇ ગંદકી નહીં ફેલાવવાની વાત કરે છે તો કોઇ આંતરજ્ઞાતિય લગ્નો વિશેની વાતો કરે છે. આ રેડિયો શૉની લોકપ્રિયતાને પગલે જેમ સામાન્ય રીતે બનતું હોય છે એમ રાજકારણી પણ વહેતી ગંગામાં પગ બોળે છે. આ દરમિયાન એક નનામી વ્યક્તિ પણ નૈનાને ફોન કરીને દેશની સરકારની સામાન્ય માણસ પ્રત્યેની જવાબદારીઓ અંગેની વાત કરે છે. મૂડીવાદી સમાજ વ્યવસ્થામાં એક અદના આદમીનો કઈ રીતે ભરડો લેવાય છે તેની વાતો કરે છે. આ સાથે જ ફિલ્મમાંયસ, ઇન્ડિયા કેન ચેન્જસાથેનો દર્શકોને વ્યાકુળ કરી જતો અંત આવે છે.

'વાઇન્ડ ઓફ ચેન્જ'ની ટીમ ટ્રોફી સાથે 
ફિલ્મના ડિરેક્ટર ચક્ષુ ખાટસૂર્યા ગુજરાત ગાર્ડિયનને જણાવે છે કે, ‘આ ફિલ્મમાં અમે જો કોઇ એક સંદેશ આપ્યો હોય તો તે એ છે કે આપણે કોઈનું ખરાબ વર્તન બદલવા કરતાં આપણી ખુદની માનસિકતામાં ધરમૂળથી બદલાવ આણવો જોઇએ. જેથી દેશમાં આપોઆપ જ પરિવર્તનનો પવન ફુંકાશે. ‘વાઇન્ડ ઓફ ચેન્જપણ લોકોને આ જ સંદેશ આપે છે’. સ્પર્ધામાં મળેલી આ સફળતા બાદ હવેવાઇન્ડ ઓફ ચેન્જની ટીમ શાળા અને કોલેજો માટે એક કેમ્પેઇન પણ કરવાનું વિચારી રહી છે, જે હેઠળ તેઓ બાળકો અને યુવાપેઢીને દેશ પ્રત્યેની આપણી જવાબદારીઓ અને ફરજો અંગેની જાણકારીઓ આપશે. તો ફિલ્મમાં આરજે નૈનાનું પાત્ર ભજવી રહેલી અને રિયલ લાઇફમાં પણ આરજે એવી વિશ્રુતિ શાહ ગુજરાત ગાર્ડિયનને તેમની આખી ટીમની સર્જન પ્રક્રિયા વિશે જણાવતા કહે છે કે, ‘અમારા માટે ઓછી સમય મર્યાદામાં રહીને ગુણવત્તામાં બાંધછોડ કર્યા વિના એકદમ પરફેક્શન સાથે ફિલ્મ તૈયાર કરવાનું કામ અત્યંત કપરું હતું, શોર્ટ ફિલ્મના સર્જનની આખી પ્રકિયા દરમિયાન તમારી સહનશીલતા અને સર્જનાત્મકતાની કસોટી થઈ જતી હોય છે.’

ઓછા સમયમાં આટલા બધા કામ એકસાથે કરવાના હોય ત્યારે ક્યાંક કોઈ ચૂક રહી જ જતી હોય છે. સામાન્ય રીતે ઓછી મુદતમાં તૈયાર થયેલી શોર્ટ ફિલ્મમાં તમારે નાની મોટી બાબતો સામે આંખ આડા કાન કરવા પડે, પણવાઇન્ડ ઓફ ચેન્જમાં વાર્તાતત્ત્વથી લઈને કેમેરાગ્રાફી અને એડિંટિગ કે મ્યુઝિક મર્જિગ સુધીના તબક્કાઓમાં સંતોષકારક કામ થયેલું જણાય છે. આપણે ત્યાં બહુ ઓછો વર્ગ એવો હોય છે જે શોર્ટ ફિલ્મોનો ચાહક હોય છે. ત્યારે સ્થાનિક ધોરણે આ રીતનું ઉત્તમ કામ થાય છે, તેને બિરદાવવું જ ઘટે. બાય ધ વે, ઇન્ડિયા ફિલ્મ પ્રોજેક્ટની સ્પર્ધામાં આ ફિલ્મને બેસ્ટ યુઝ ઓફ મ્યુઝિકનો એવોર્ડ પણ મળ્યો છે.