Friday, January 31, 2014

ફોટો FUN!!!

જો આવી ઓફિસ હોય તો જલસો પડી જાય!


માણસના વર્ક પ્લેસનું વાતાવરણ સારું હોય તો એને કામ કરવાની મજા આવતી હોય છે, અને કર્મચારીનું કામ સારું એટલે કંપનીને સીધો ફાયદો એ તો સાદું ગણિત છે. અહીં દર્શાવાયેલી તસવીરો કોઈ હોટેલ કે કાફેની નથી પણ આ બધી વિશ્વની કેટલીક ઓફિસ છે, જેનું ઈન્ટિરિયર એકદમ ક્રિયેટિવ રીતે તૈયાર કરવામાં આવ્યું છે. અહીં મોટા ભાગની કંપનીઓ ઈન્ટરનેટ અને વેબ ડિઝાઈનિંગ સંબંધિત કાર્ય કરતી કંપનીઓ છે. પણ આ બધામાં ગૂગલનો ક્યાંય જોટો જડે એમ નથી કારણકે દુનિયાભરમાં ફેલાયેલી તેમની તમામ ઓફિસોમાં તેમણે અલગ અલગ થીમ પર ક્રિયેટિવ ઈન્ટિરિયર તૈયાર કરાવ્યું છે. જેમકે સ્વિત્ઝર્લેન્ડના ઝ્યુરિકમાં ગૂગલે તેમના કર્મચારીઓને બેસવા માટે બાથટબ અને બીચ પર હોય એવી રેસ્ટ ચેર રાખી છે, તો આ જ ઓફિસના એક બીજા ભાગમાં તેમણે શંકુ આકારની કેબિન રાખવામાં આવી છે. તો તેમની અમેરિકાના પિટ્સબર્ગની ગૂગલ ઓફિસમાં તેમણે મોટા મોટા ઝુલા રાખ્યા છે, જેના પર કર્મચારીઓ આરામથી બેસીને કામ કરી શકે છે. એટલે હવે ખબર પડી કે ગૂગલ પર દર ત્રીજા દિવસે ક્રિયેટિવ ડુડલ્સ ક્યાંથી આવે છે, આવી ક્રિયેટિવ ઓફિસ હોય તો સ્વાભાવિક છે કે તેના કર્મચારીઓ પણ ક્રિયેટિવ જ હોવાના! ગૂગલ ઉપરાંત પણ બીબીસી, પિક્સાર અને કો-મર્જ જેવી કંપનીઓએ પણ કર્મચારીઓને સારું વાતાવરણ પૂરું પાડવા માટે આ રીતે ક્રિયેટિવ ઈન્ટિરિયર તૈયાર કરાવડાવ્યું છે. ■
બેંગ્કોંગની એક કંપનીનિ મિટિંગ રૂમ

ઝુરિચની ગુગલ ઓફિસ

સ્વિડનની એક ઓફિસ




ગુગલ પિટ્સબર્ગ







Thursday, January 9, 2014

નિર્ભયાઃ સ્ત્રીની પીડાનું તખ્તા પર મંચન

૧૬ ડિસેમ્બર ૨૦૧૨ની રાત્રે દિલ્હીની એક બસમાં એક યુવતીને પીંખી નાંખવામાં આવે છે અને પછી નરાધમોની પિશાચી કરતૂતને કારણે પેલી યુવતીનું સિંગાપોર ખાતે સારવાર દરમિયાન મૃત્યુ થાય છે. આ સાથે જ આખા દેશમાં ઠેર ઠેર દેખાવો અને પ્રદર્શનો થયાં અને દેશની સંસદે મહિલાઓ વિરુદ્ધ આચરવામાં આવતા ગુનાઓના કાયદાઓમાં ધરખમ ફેરફાર કરી નાંખ્યા. આ આખી ઘટના દેશ અને દુનિયાના અનેક સંવેદનશીલ લોકોને હચમચાવી ગઈ, જેમાં અભિનેત્રી પૂર્ણા જગન્નાથન અને જોહાનિસબર્ગની નાટ્યકાર યેલ ફાર્બરનો પણ સમાવેશ થાય છે.

આ ઘટના બન્યા પછી એક તરફ દેશના લાખો લોકો પોતાનો રોષ પ્રકટ કરવા હાથમાં મીણબત્તી અને લઈને રસ્તા પર ઊતરી આવ્યા હતાં. તો આ બંને સ્ત્રીઓ મીણબત્તી સુધી જ સી‌િમત નહીં રહીને કંઈક નવું કરવાની યોજનાઓ બનાવી રહી હતી. આખરે તેમની આ યોજના ‘નિર્ભયા’ નામના નાટકનું રૂપ લે છે અને દિલ્હીની પી‌િડતા સહિતની અનેક સ્ત્રીઓની વ્યથાની મંચ પર હૃદયદ્રાવક રજૂઆત થાય છે.
‘નિર્ભયા’ નાટક દેશમાં ભજવાય એ પહેલા અનેક વખત એટલેકે લગભગ ૩૫થી વધુ વખત વિદેશની ધરતી પર ભજવાઈ ચૂક્યું છે. અને હવે થોડા જ દિવસોમાં તે દેશના વિવિધ શહેરોમાં પણ ભજવાશે. આ નાટકનો વિષય તો અત્યંત સંવેદનશીલ છે જ પરંતુ તેની સર્જન પ્રક્રિયા પણ એટલી જ રસપ્રદ છે. આ નાટકમાં માત્ર દિલ્હીની પીડિતા (નિર્ભયા)ની જ વાત નથી પરંતુ અન્ય પણ અનેક સ્ત્રીઓની વાત છે, જેમણે બાળપણથી લઈને યુવાની સુધીમાં અનેક વખત કોઈની હવસના શિકાર બનવું પડ્યું હોય. નાટકમાં રજૂ કરવામાં આવેલી તમામ કથાઓ સત્ય ઘટના પર આધા‌િરત છે, જેમાં કલ્પનાના કોઈ પણ રંગોને ભર્યા વિના કે તેને મઠાર્યા વિના યથાવત રજૂ કરવામાં આવી છે.

નાટકની સર્જન પ્રકિયા વિશે વાત કરીએ તો નાટ્યકાર યેલ ફાર્બરે તેમના લેપટોપ પર ૧૬ ડિસેમ્બરની ઘટના વિશે વાંચ્યુ ત્યારે હવસખોરોએ પી‌િડતા સાથે આચરેલા કુકર્મ વિશે વાંચીને દંગ રહી ગયા. આથી તેમણે ભારત જ નહીં પરંતુ દુનિયાભરમાં સ્ત્રીઓ સાથે આચરવામાં આવતા ગુનાઓ અને તેમના પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતું સ્ટેટ્સ અપડેટ કર્યું. આ સ્ટેટ્સને દુનિયાભરના લોકોએ લાઈક કર્યું તો ભારતમાં બેઠેલી પૂર્ણા જગન્નાથને પણ યેલનું સ્ટેટ્સ વાંચ્યું. પૂર્ણાને તમે આ પહેલા ‘દિલ્હી બેલી’ ફિલ્મમાં જોઈ ચૂક્યા છો. પૂર્ણાએ થોડાં સમય પહેલા યેલનું ‘અમાજુબા’ નામનું એક નાટક જોયું હતું, જેમાં દક્ષિણ આફ્રિકાના લોકો સાથે આચરવામાં આવતી રંગભેદની નીતિઓ વિશેની વાત કરવામાં આવી હતી. આથી પૂર્ણાને વિચાર આવ્યો કે ત્યારે પણ માણસ સાથે આચરવામાં આવેલી બર્બરતાની વાત હતી અને હમણાં પણ! તો યેલની સાથે મળીને ફરીથી આ વિષય પર એક નાટક તૈયાર કરવામાં આવે તો?

પૂર્ણાએ યેલને તરત જ આ વાત કરી, અને યેલને પણ તેનો આ વિચાર અત્યંત પસંદ આવ્યો. આમ, બંને સ્ત્રીઓએ રોજ ફેસબુક પર ચેટિંગ શરૂ કર્યું અને લાંબી લાંબી ચર્ચાઓ કર્યા બાદ તેમણે ‘નિર્ભયા’નો એક કાચો ઘાટ તૈયાર કર્યો. આખરે ફેસબુક પર નાટકની કાચી સ્ક્રિપ્ટ તૈયાર કર્યા બાદ ગયા ફેબ્રુઆરીમાં યેલ ભારત આવ્યાં અને અહીં તેમણે જાતજાતની સ્ત્રીને મળીને તેમનું રિસર્ચ શરૂ કર્યું. ગયા વર્ષે ભારત સરકારે રજૂ કરેલા આંકડાઓ મુજબ ભારતમાં ૩૫% જેટલા બાળકો બાળપણમાં યૌન ઉત્પીડનનો શિકાર બનતા હોય છે. ઉપરાંત દુનિયામાં દર ત્રણમાંથી એક મહિલા શારી‌િરક અથવા જાતીય શોષણનો શિકાર બનતી હોય છે. એક સંવેદનશીલ સર્જક માટે આવા આંકડા હચમચાવી નાંખનારા હતા.
ત્યાર બાદ યેલ અને પૂર્ણાએ નક્કી કર્યું કે તેમણે માત્ર નિર્ભયાની વાર્તાને જ મંચ પર નથી ઉતારવી પણ નિર્ભયાની સાથે પોતાના સ્વજનોથી પણ પીડા પામેલી હોય એવી સ્ત્રીઓની વાતને લોકો સુધી લઈ જવી છે. આથી તેમણે મહિલાઓ માટે એક વર્કશોપ યોજીને તેમની પાસે તેમની કથનીઓ સાંભળી અને આ બધી વાર્તાઓને પણ નાટકની કથામાં વણી લીધી. નાટકમાં નિર્ભયાની ભૂમિકા જપજીત કૌર નામની અભિનેત્રી ભજવી રહી છે તો એક વાર્તામાં પૂર્ણા પણ અભિનય કરી રહી છે.
નાટકમાં નિર્ભયા ઉપરાંત એક કથા એવી સ્ત્રીની છે, જેને નાનપણમાં માત્ર ૯ વર્ષની ઉંમરે એરફોર્સમાં ઊંચી પદવી પર ઓફિસર એવા તેના નજીકના સગા દ્વારા શારી‌િરક હવસનો શિકાર બનાવવામાં આવી હતી. તો બીજી એક સ્ત્રીને નાનપણથી જ તેના બાપે વારંવાર ભોગવી હતી. આ ઉપરાંત પણ નાટકમાં નાની નાની ઘણી બધી કથાઓ છે. આ કથાઓ ભલે નાની હોય પણ તે આપણા દંભી અને માનસિક રીતે વિકૃત સમાજના ચિતારને બયાં કરે છે. આ નાટકના સૌથી વધુ શૉ યુકેમાં થયાં છે, જ્યાં તેને અત્યંત પસંદ કરવામાં આવ્યું છે. ત્યાંના વિવેચકોના મતે આ નાટકમાં ભલે ભારતની સ્ત્રીઓની કથાઓને દર્શાવાઈ છે પરંતુ આ કથા સમગ્ર વિશ્વની સ્ત્રીઓની છે.

પૂર્ણા જગન્નાથન તેનાં નાટક માટે જણાવે છે કે, ‘હું માત્ર બળાત્કારીઓ પર જ નહીં પરંતુ એ તમામ લોકોથી ખફા છું, જેઓ નિર્ભયાને બસમાંથી ફેંકી દેવાયા પછી પણ મૂકપણે તમાશો જોતા રહ્યા. આપણે ત્યાં સ્ત્રીઓને બાળપણથી જ ચૂપ રહેતા શિખવવામાં આવે છે અને કદાચ આ ચુપકીદીને કારણે જ આપણે આ બધી યાતનાઓ પણ ભોગવવી પડતી હોય છે. આથી આ નાટક દ્વારા અમે એ ચુપકીદીને તોડવાનો પ્રયત્ન કર્યો છે.’ નિર્ભયાનો સૌથી પહેલો શૉ જુલાઇ ૨૦૧૩માં એડિનબર્ગ ખાતે ફ્રિન્જ ફેસ્ટિવલ ખાતે યોજાયો હતો, જ્યાં તેને ત્રણ એવોર્ડ પ્રાપ્ત થયાં હતાં. હમણાં સુધીમાં થયેલા શૉમાંથી તેઓ ૫૦,૦૦૦ પાઉન્ડ જેટલી રકમ ભેગી કરી ચૂક્યા છે. આ રકમનો ઉપયોગ તેઓ ૨૦૧૪ના વર્ષમાં ભારતમાં કરશે, જ્યાં તેઓ આ નાટક દેશભરના મોટા શહેરો ઉપરાંત દેશની મોટાભાગની કોલેજોમાં જગૃતીના ભાગરૂપે રજૂ કરશે.
‘નિર્ભયા’ના સર્જકોના મત મુજબ આ એક નાટક માત્ર નથી પરંતુ સામાજિક બદલાવ માટેનું પહેલું પગ‌િથયું છે. યેલ કહે છે કે, ‘અમે આ નાટકને દુનિયાભરમાં રજૂ કરવા માગીએ છીએ, જેથી દુનિયાના દરેક સમાજોને આ વિશે માહિતી મળે. લોકોને કદાચ લાગશે કે એક નાટક દ્વારા કઈ રીતે સામાજિક ક્રાંતિ થઈ શકે? પરંતુ સ્ત્રીઓના શારી‌િરક શોષણને મુદ્દે આપણે હવે સજાગ બનવું જ પડશે.’ યેલની વાત ખરેખર સાચી છે કારણકે આ દિશામાં ભલે હજારો કાયદાઓ બને પરંતુ જ્યાં સુધી સમાજ આ મુદ્દે જાગૃત નહીં બને ત્યાં સુધી કોઈ પણ બદલાવો આવી શકવાના નથી.

સ્ત્રીઓના શારીરિક શોષણ સામે કાયદો ઘડાઈ ગયો એટલે પતી ગયું એ જ ઘણું ભૂલભરેલુ છે કારણકે નિર્ભયા કેસ પછી પણ આપણી બળાત્કાર કે જાતીય શોષણની અનેક ઘટનાઓ બહાર આવી છે, જેમાં થોડાં દિવસો સુધી ટોળાઓ દેખાવ કરે અને ફરીથી બધું ત્યાંને ત્યાં રહી જાય છે. યેલના મતે આ પ્રશ્ન માત્ર સ્ત્રીઓનો જ નથી. આ પ્રશ્ન જેટલો સ્ત્રીઓ છે એટલો જ પુરુષોનો પણ છે. આથી પુરુષ જ્યારે આ મુદ્દે સજાગ બનશે ત્યારે જ આ વાતનો નિવેડો આવી શકશે. આખુ નાટક પૂરું થાય છે ત્યાં સુધીમાં કોઈ પણ વર્ગના દર્શકને વ્યાકુળ કરી મૂકે છે. નાટક ભજવાયા પછી એક તરફ મંચ પર નાટક પૂરું થાય છે અને બીજી તરફ દર્શકોની વિચારપ્રકિયા શરૂ થઈ જાય છે.


Friday, January 3, 2014

નવું વર્ષ, નવા ક્ષેત્રો અને નવી તકો

વર્ષ ૨૦૧૪ના શરૂઆતી મહિનાઓ દરમિયાન યોજાનારી કેન્દ્રની ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલ અને નરેન્દ્ર મોદી જેવા ચહેરાઓને કારણે સત્તાનું ધ્રુવીકરણ થશે કે નહીં એ જોવું અત્યંત ઉત્સાહજનક રહેશે. બીજી તરફ, આ નેતાઓ જે મતદારવર્ગમાં સૌથી લોકપ્રિય છે એવા યુવાનો માટે પણ ઉત્સુકતાઓનું અને અનેક તકોનું વર્ષ સાબિત થશે. આ કોઈ ભવિષ્યવેત્તાએ ભાખેલુ ભવિષ્ય નથી પણ સંશોધકો અને અભ્યાસુઓએ તેમના અભ્યાસ બાદ રજૂ કરેલા તારણો છે, જે મુજબ ૨૦૧૪-૨૦૧૫ ભારતના યુવાનો માટે અનેક તકો અને ઉજ્જવળ કારકિર્દી માટેના વર્ષ સાબિત થશે.

તાજેતરમાં જ રજૂ કરાયેલા આંકડા મુજબ ભારતમાં ૨૦૧૪માં એન્જિનિયરિંગ, આઈટી, બાયોટેક્નોલોજી, ફાર્મા ઈન્ડસ્ટ્રી, આંત્રપ્રિન્યોરશિપ, શિક્ષણ, હેલ્થકેર, હોસ્પિટાલિટી, એફએમસીજી, રિટેઇલ સેક્ટર, એગ્રિબિઝનેસ અને ફૂડ પ્રોસેસિંગ સેક્ટર જેવાં ક્ષેત્રોમાં યુવાનો માટે અદભૂત તકો ઊભી થઈ રહી છે. એ તો ઠીક ક્લાઉડ કમ્પ્યુટિંગ જેવાં કેટલાક નવા ક્ષેત્રો પણ ભારતમાં દસ્તક દઈ રહ્યા છે. આ કારણે ૨૦૧૫ સુધીમાં દુનિયાભરમાં નોકરીની અનેક તકો ઊભી થશે, માત્ર ભારતમાં જ ૨૦ લાખ જેટલી નોકરીઓ પ્રતિભાવાન યુવાનો માટે રાહ જોઈને બેઠી છે. અભ્યાસ મુજબ ક્લાઉડ કમ્પ્યૂટિંગ, અન્ય નવી  શોધો અને એન્ટ્રપ્રિન્યરશિપને કારણે મોટા ભાગની કંપનીઓ ક્લાઉડ કમ્પ્યૂટિંગના ક્ષેત્ર તરફ પોતાનો ઝુકાવ ધરાવી રહી છે આથી આ ક્ષેત્રોમાં તકો ઊભી થવા જઈ રહી છે.

સંશોધનો તો એમ પણ જણાવે છે કે કોમ્યુનિકેશન, મીડિયા, ઉત્પાદન અને બેંકિંગ જેવાં ક્ષેત્રોમાં ૨૦ લાખ જેટલી નોકરીની તકો છે. આ આંકડાઓમાં છોકરાઓ કરતા છોકરીઓ સારું પ્રદર્શન કરી જશે કારણકે, ૩૩ ટકા છોકરાઓની સામે છોકરીઓ માટેની તકો ૪૨ ટકા સુધીની છે. ઉપરના સર્વ સામાન્ય ક્ષેત્રો ઉપરાંત ઈન્ફોર્મેશન સિક્યુરિટી એનાલિસ્ટ, પેટ્રોલિયમ એન્જિનિઅરિંગ, દુભાષિયા, અનુવાદક, સોફ્ટવેર અને વેબસાઈટ ડેવલપર, માર્કેટ રિસર્ચ એનાલિસ્ટ અને ઈવેન્ટ પ્લાનર જેવાં આપણે ત્યાં ઝડપથી વિકસી રહેલા ક્ષેત્રોમાં પણ ૨૦૧૪માં ઊંચા પગારની સૌથી વધુ નોકરીની તકો ઊભી થઈ રહી છે. હાલમાં ભારતમાં સોફ્ટવેર ઈન્ડસ્ટ્રી પણ ઝડપભેર વિકસી રહી છે. આ ઉપરાંત યુરોપ અને આંતરરાષ્ટ્રીય બજારોમાં સર્જાઈ રહેલી ઉથલપાથલોને પગલે સિમેન્સ અને જીઈ જેવી મલ્ટિનેશનલ કંપનીઓ પણ ભારતમાં તેમના પ્લાન્ટ શરૂ કરવાનું વિચારી રહી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પંકાયેલી હેલ્થ એન્ડ સેફ્ટી રિક્રૂટમેન્ટ સ્પેશિયાલિસ્ટ કંપની ‘એલન એન્ડ યોર્ક’ પણ એમ જણાવી રહી છે કે આગામી વર્ષોમાં ભારતમાં  હેલ્થ એન્ડ સેફ્ટીના ક્ષેત્ર ઉપરાંત રિસ્ક એન્ડ સેફ્ટી, ઓઈલ એન્ડ ગેસ ઈન્ડસ્ટ્રી તેમજ કેમિકલ અને પુનઃપ્રાપ્ય ઊર્જાના ક્ષેત્રમાં પણ યુવાનો માટે મોટી માત્રામાં નવી દિશાઓ ઉઘડશે. 

આ બાબતે હમણાં સુધીમાં નાસકોમ (NASSCOM), એસોચેમ (ASSOCHAM), ક્રિસિલ(CRISIL) અને માફોઈ (MAFOI) જેવી અગ્રણી રિસર્ચ કંપનીઓએ સંશોધનો કર્યાં છે. આ તમામ સંશોધનોમાં બધા એકસૂરે જણાવી રહ્યાં છે કે ભારતમાં હેલ્થકેર, એગ્રિબિઝનેસ, ટેલિકોમ ઉપરાંત અન્ય આઈટી ક્ષેત્રો, એનર્જી, ટુરિઝમ અને ટ્રાંસપોર્ટ, અને બેંકિંગ જેવાં ક્ષેત્રોમાં ૨૦૨૦ સુધીમાં અસાધરણ ઉછાળ આવશે. દરમિયાન જાણકારો તો એમ પણ જણાવી રહ્યાં છે કે ૨૦૧૪ની સામાન્ય ચૂંટણી બાદ તરત જ બેંકિંગ અને બાંધકામ, વીમા જેવાં ક્ષેત્રોમાં તીવ્ર વૃદ્ધિ જોવા મળશે. આપણે હમણાં સુધી કેટલા ક્ષેત્રોમાં નવી તકોની સંભાવનાઓ છે એ વિશે જોયું પણ હવે એ જોઈશું કે ભારતમાં આ બધી સંભાવનાઓ ઊભી થવાના કારણો કયા છે. આપણે આગળ જોયું કે આપણે ત્યાં એનર્જી સેક્ટરમાં ઘણી તકો છે કારણકે ઓઈલ, ગેસ અને કોલસાના ઉત્પાદનમાં આપણે વિશ્વમાં પાંચમાં ક્રમે આવીએ છીએ. હાલમાં આ ક્ષેત્રમાં ઉત્તમ કામ કરી શકે એવાં કુશળ કર્મચારીઓની અત્યંત જરૂરત ઊભી થઈ છે. ઉપરાંત આ ક્ષેત્રમાં જ્યારથી ખાનગી અને જાહેર સાહસ કરતી કંપની વચ્ચે સ્પર્ધાઓ શરૂ થઈ ત્યારથી જાહેર સાહસ કંપનીઓને કામદારોની ભારે ખેંચ વર્તાઈ રહી છે, આથી તેમણે તેમની એચઆર પોલિસીઓમાં પણ ધરખમ ફેરફારો કરવા પડ્યા છે, જે તમામ નવી પોલિસીઓ કર્મચારીઓની તરફેણમાં છે.

જોકે ૨૦૧૪ના ક્ષેત્રમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રમાં ક્ષેત્ર માટે થોડાં માઠા સમાચાર છે. કારણકે આ ક્ષેત્રના વૃદ્ધિદરમાં થોડો ઘટાડો જોવા મળવાની શક્યતા છે. પરંતુ આ છતાં પણ બંદરો, હાઈવે અને એરપોર્ટ જેવી કેટલીક સુવિધાઓમાં થઈ રહેલી પ્રગતિને કારણે આ ક્ષેત્રમાં પણ સાવ નિરાશ થઈ જવા જેવું નથી. તો એન્જિનિઅરિંગના ક્ષેત્રનું આઉટસોર્સિંગ માર્કેટ ૨૦૨૦ સુધીમાં ૧૫૦થી ૨૧૫ બિલિયન ડૉલર પહોંચી જશે. આમાં ભારતની વાત કરીએ તો આપણે પણ પ્રોજેક્ટ એન્જિનિયરિંગમાં ૧૪ થી ૨૫ ટકા સુધીનો હિસ્સો ધરાવીએ છીએ. આમ, ૨૦૨૦ સુધીમાં આપણે ત્યાં આઈટી અને તેની અન્ય શાખાઓ બાદ એન્જિનિયરિંગનું ક્ષેત્ર સૌથી મોટું ક્ષેત્ર સાબિત થશે.

ફાર્મા ઈન્ડસ્ટ્રીની વાત કરીએ તો ૨૦૧૫ સુધીમાં માત્ર ભારતની ફાર્માસ્યૂટિકલ ઈન્ડસ્ટ્રીનું ટર્નઓવર ૨૦ બિલિયન ડૉલર સુધી જશે. આમ, દેશમાં સામાન્ય દવાઓના માર્કેટમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળશે. ફાર્મા સેક્ટરમાં આજે જાણકાર અને સારી આવડત ધરાવતા માણસોની અત્યંત અછત છે આથી આનો સીધો લાભ નવી પેઢીને જ મળશે. રિટેલ સેક્ટરમાં આપણે વૈશ્વિક સ્તર પર પાંચમાં ક્રમે આવીએ છીએ. ઉપરાંત ભારતના લોકોની જીવનશૈલીમાં આવી રહેલા ધરખમ બદલાવનો સીધો લાભ પણ રિટેલ સેક્ટરને જ થશે. હજુ ગયાં વર્ષે જ ઘણાં વિવાદો બાદ આપણે ત્યાં રિટેલ ક્ષેત્રમાં એફડીઆઈ આવ્યું. એફડીઆઈને કારણે પણ પહેલા અને બીજા વર્ગના શહેરોમાં આ ક્ષેત્રમાં મેનપાવરની અત્યંત જરૂર ઊભી થશે. જોકે એફડીઆઈનો રસ્તો હજુ જોઈએ એટલો સાફ નથી કારણકે અનેક રાજકીય પક્ષો તેનો વિરોધ કરી રહ્યા છે. પણ વહેલા મોડા આ ક્ષેત્રમાં ઘણી મોટી માત્રામાં રોજગારીની તકો ઊભી થશે એ વાતમાં કોઈ બે મત નથી.

વિશ્વમાં ટેલિકોમ સેક્ટરમાં ભારત ચીન અને અમેરિકા પછી ત્રીજા ક્રમે આવે છે. આ ક્ષેત્ર માટે એવું કહેવાઈ રહ્યું છે કે ૨૦૧૫ સુધીમાં વિશ્વના મોબાઈલ ધારકોમાં આપણો ૬%થી વધુ હિસ્સો હશે. દેશમાં 4G ઉપરાંતની કેટલીક સુવિધા પાઈપલાઈનમાં જ છે. આથી ટેલિકોમ કંપનીઓ વચ્ચેની હોડ ઉપરાંત નવી ટેકનોલોજીને કારણે આ ક્ષેત્રમાં પણ આઈટી અને કોમ્યુનિકેશન ગ્રેજ્યુએટ્સ માટે અનેક નવી તક છે. જાણકારોના મતે ૨૦૧૪ના વર્ષમાં બેંકિંગ ક્ષેત્રમાં ઉતારચઢાવ ઉતાર ચાલુ રહેશે. આગામી વર્ષે અનેક વિદેશી પ્રાઈવેટ બેંકો ભારતમાં પોતાની શાખાઓ ખોલી શકે છે. પણ બેંકિંગ સાથે સંકળાયેલા કેટલાક ક્ષેત્રો જેવાં કે બ્રોકિંગ, ઈન્વેસ્ટમેન્ટ અને વીમા સંબંધિત ક્ષેત્રોમાં હજુ આગામી વર્ષે જોઈએ એટલી વૃદ્ધિની અપેક્ષાઓ રાખવામાં આવી રહી નથી. આપણે ત્યાં હજુ હમણાં જ પ્રકાશમાં આવેલા ટ્રેનિંગ, કન્સલટન્સી, હોસ્પિટાલિટી અને ટ્રાવેલ સંબધિત ક્ષેત્રો પણ ઘણાં જ ઝડપથી પ્રગતિ કરી રહ્યાં છે. આથી આવા ક્ષેત્રોમાં પણ યુવાનો ઘણી સારી કમાણી કરીને તેમનું કેરિઅર બનાવી શકે છે.

આમ, આવનારું આ વર્ષ દેશના યુવાનો માટે ઘણાં સારા સમાચાર લઈને આવી રહ્યું છે. વિવિધ સર્વે મુજબ આ વર્ષે આપણા દેશમાં વિવિધ ક્ષેત્રોની રોજગારીઓમાં ૫૮% જેટલો વધારો થશે. આ વધારા પાછળ યુરોપની મંદીનો ઘણો મોટો ફાળો માનવામાં આવી રહ્યો છે, જેને કારણે યુરોપ સહિતની વિશ્વભરની કંપનીઓની નજર ભારત પર મંડરાઈ રહી છે. 