Monday, March 31, 2014

દરેક વ્યક્તિ-વસ્તુમાં સંગીત છે

પંડિત રાજ મિશ્રા અને  પંડિત સાજન  મિશ્રા
પદ્મભૂષણ પંડિત રાજન મિશ્રા અને સાજન મિશ્રા ભારતીય શાસ્ત્રીય સંગીતમાં ઘણાં જાણીતા નામો છે. નાનપણથી રાગ ખ્યાલની જુગલબંદી કરતા આ બે ગાયક ભાઈઓએ બનારસ ઘરાના અને આપણા દેશને આંતરરાષ્ટ્રીય મંચ પર ઘણી ખ્યાતિ અપાવી છે. તેઓ પંડિત ઓમકારનાથને તેમના ગુરુતુલ્ય માને છે. ગુજરાત સરકારે તેમને પંડિત ઓમકારનાથ સંગીત સન્માનથી નવાજ્યા છે, જેને તેઓ તેમના જીવનની ઘણી મોટી ઉપલબ્ધિ જણાવે છે. તેઓ છેલ્લા પિસતાળીસ વર્ષથી સંગીતની સાધના કરી રહ્યા છે. આ ગાયક બેલડીના વડીલ બંધુ એટલે કે રાજન મિશ્રાએ ‘ગુજરાત ગાર્ડિયન’ સાથે તેમના સંગીત અને અનુભવો વિશેની કેટલીક રસપ્રદ વાતો કરી હતી, જેના અંશો અત્રે પ્રસ્તુત છેઃ

તમે સાથે ગાવાનો નિર્ણય કેમ કર્યો? અને એની શરૂઆત ક્યારે કરી?

બનારસ ઘરાનામાં જુગલબંદીમાં ગાવાની પરંપરા ઘણી જૂની છે. છેલ્લા દોઢસો-બસો વર્ષોથી બનારસમાં જુગલબંદીમાં ગાવાની પ્રથા છે. જેમકે અમારા પહેલા પ્રસિદ્ધુ અને મનોહરજી તેમજ શિવા પશુપતિ અને અમરનાથ પશુપતિ પણ જુગલબંદીમાં જ સાધના કરતા. અમારા ગુરુ એટલે કે અમારા પિતા પંડિત હનુમાન મિશ્રાજી અને અમારા કાકા પંડિત ગોપાલ મિશ્રાજીની પણ ઘણી ઈચ્છા હતી કે અમે બંને ભાઈઓ જુગલબંદીમાં ગાઈએ. આથી નાનપણથી જ અમે જુગલબંદી શરૂ કરી. ઉપરાંત અમારા વડીલોનું વિઝન એવું હતું કે અમે સાથે ગાઈશું તો જ એક રહી શકીશું. તેમના એ વિઝનને કારણે આજે અમારા બંને ભાઈઓનું રસોડું એક જ છે.

તમારામાંથી કોઈએ પણ સોલો પરફોર્મન્સ આપ્યું છે? કેમ?

ના, અમે સોલો પરફોર્મન્સ નથી આપ્યું. વર્ષોથી સાથે ગાતા રહેવાને કારણે અમારા શરીર ભલે અલગ હોય, પરંતુ અમારો આત્મા એક બની ગયો છે. અમે બાળપણથી જ એકબીજાના સોલમેટ રહ્યા છીએ. આથી સોલો પરફોર્મન્સ આપવાનો કોઈ પ્રશ્ન જ નથી ઊઠતો.

આટલા વાર્ષોની જુગલબંદીમાં તમારી વચ્ચે ક્યારેય અહંનો ટકરાવ થયો છે?

ના, ક્યારેય નહીં. કારણ કે અમને બાળપણથી જ એ પ્રકારના સંસ્કાર આપવામાં આવ્યા છે. અમે બાળપણમાં એ જોયેલું કે અમારા પિતા અને કાકા હંમેશાં એકબીજાની અદબ જાળવતા. અમારા કાકા પંડિત ગોપાલ મિશ્રાજી આંતરરાષ્ટ્રીય કક્ષાના સારંગીવાદક હતા, છતાં પણ એમણે એમના મોટા ભાઈની એટલે કે અમારા પિતાની આંખમાં આંખ નાંખીને વાત કરી નથી. આ તો ઠીક તેમણે મારા પિતા સાથે ક્યારેય ઊંચા અવાજે વાત પણ નથી કરી. આથી અમે ઘરમાં બાળપણથી શિસ્ત અને પ્રેમનું વાતાવરણ જોયું છે અને જ્યાં પ્રેમને અવકાશ હોય ત્યાં અહં આપોઆપ ઓગળી જતો હોય છે. આથી અમારી આટલા વર્ષોની યાદગાર યાત્રામાં આમારી વચ્ચે ક્યારેય આવી ક્ષુલ્લક પરિસ્થિતિનું નિર્માણ થયું નથી.

તમારું કુટુંબ ૩૦૦ વર્ષથી સંગીત સાથે સંકળાયેલું છે. શું તમારા પછીની પેઢી પણ તમારો વારસો બરકરાર રાખી રહી છે?

સંગીત સાથે અમે ત્રણસોથી વધુ વર્ષોથી સંકળાયેલા છે. મને એ કહેતા ખૂબ જ ગર્વ થાય છે કે અમારા બાદની પેઢી પણ અમારો વારસો જાળવી રહી છે. મારા બે પુત્રો રિતેશ મિશ્રા અને રજનીશ મિશ્રા બંને ખૂબ જ સારું ગાય છે અને અમારા બે ભાઈઓની જેમ જ તેઓ પણ જુગલબંદીમાં ગાય છે. થોડાં સમય પહેલા તેઓ પણ સુરતમાં એમનું પરફોર્મન્સ આપી ગયા હતા.

તમારા ‘ખ્યાલ’ રાગ વિશે અમારા વાચકોને થોડું જણાવો.

મૂળતઃ ‘ખ્યાલ શબ્દ પર્શિયન શબ્દ છે. ખ્યાલનો અર્થ થાય છે તમારા મનમાં ચાલી રહેલો કોઈ વિચાર. અહીં તમને જે પદ્ય અથવા કવિતા આપવામાં આવે છે તેને તમે કેટલું લંબાવી શકો છો અથવા તેને કેટલા સમય સુધી ગાઓ છો એ મહત્ત્વનું છે. તમને આપવામાં આવેલી પંક્તિઓનું આ રીતનું વિસ્તરણ તમારા અનુભવ અને શિક્ષણ પર આધાર રાખે છે. અમારા ગીતને તમે ઝીણવટથી સાંભળશો તો તમને ખ્યાલ આવશે કે અમે અમારા ગીતમાં માત્ર ચાર જ લાઈન ગાતા હોઈએ છીએ. બે લાઈન અંતરાની અને બે લાઈન અસ્થાઈની, પણ અમે એ પંક્તિઓને એકથી દોઢ કલાક સુધી ગાઈએ છીએ. આમ, આને જ ખ્યાલ કહેવામાં આવે છે. ખ્યાલનો અર્થ ઈમ્પ્રુવાઈઝેશન પણ કરી શકાય. જેમકે એક પંક્તિ છે, ‘જીનકે મન રામ બિરાજે..’ તો રાગ ખ્યાલમાં તમે આ એક જ પંક્તિને અલગ અલગ પ્રકારે વિવિધ ભાવોથી ગાઈ શકો છો. રાગ ખ્યાલ વિશે ટૂંકમાં તમને કહું તો જેમ એક વસ્તુને જોયા પછી આપણા મનમાં અલગ અલગ વિચાર આવે એમ ખ્યાલમાં એક જ પંક્તિ માટે અલગ અલગ રાગ હોય છે!

તમારા માટે સંગીતની ટૂંકામાં ટૂંકી વ્યાખ્યા શું છે?

જુઓ નાદભ્રમથી જ આખી સૃષ્ટિની ઉત્પત્તિ થયેલી છે. આથી સંગીતની આનાથી મોટી કોઈ વ્યાખ્યા નથી. કારણ કે દરેક વ્યક્તિ કે વસ્તુમાં એક સંગીત રહેલું હોય છે. તમે ઝીણવટથી ધ્યાન આપશો તો તમને આપણાં શરીરમાં પણ સંગીત સંભળાશે, જેમકે આપણું હૃદય અને નાડીઓ એક રિધમમાં ધબકે છે તો આપણી વાણીમાં હંમેશાં એક સૂર હોય છે! આથી મારું તો એમ માનવું છે કે આપણાં બ્રહ્માંડમાં કોઈ પણ જીવ સંગીતથી અલગ નથી. આપણી આખી કોસ્મિક એનર્જી સંગીતમાં જ ચાલી રહી છે.
પંડિત રાજન મિશ્રા

તમારા જીવનમાં વારાણસી શું મહત્ત્વ ધરાવે છે?

વારાણસી વિશ્વનું સૌથી પ્રાચીન નગર છે એ તો બધા જ જાણે છે. કાશીનો ચૌદથી પંદર હજાર વર્ષનો ઈતિહાસ છે અને ગંગાના સૌંદર્ય અને વિશ્વનાથ શિવને કારણે દેશના દરેક પ્રાંતમાંથી લોકો અહીં આવીને વસ્યા છે. અહીં ચારસો-પાંચસો વર્ષોથી કેટલાક ગુજરાતી પરિવારો પણ વસે છે અને તમને એ જાણીને ખુશી થશે કે આજના સમયમાં બનારસનો ખરો વારસો ત્યાંના ગુજરાતીઓએ જ જાળવી રાખ્યો છે. તેમની નવી પેઢી હવે ગુજરાતી બોલવાનું પણ ભૂલી ગઇ છે અને પૂરેપૂરી બનારસના રંગે રંગાઇ ગઈ છે. આજે કાશીનું સંગીત વિશ્વભરમાં વખણાય છે એનું કારણ શું? કારણ કે કાશીના સંગીતમાં ભારતભરના લોકોનું યોગદાન છે. દેશમાં બનારસ ઘરાના એક માત્ર એવું કેન્દ્ર છે, જ્યાં ઠુમરી, ટપ્પા, કજરી અને ચૈતી જેવા વિવિધ પ્રબંધ ગાન, નિબંધ ગાન અને છંદ ગાનની પરંપરા રહી છે. આ કારણે અહીંના સંગીતને ‘ચારોપથ’ કહેવામાં આવે છે એટલે કે કાશીનું સંગીત મલ્ટી ડાયમેન્શનલ રહ્યું છે.

સ્માર્ટ ફોન આવ્યા પછી ઘણાં સંગીતકારો મ્યુઝિક માટેની એપ્લિકેશન્સનો ઉપયોગ કરે છે. તમે આવી એપ્સનો ઉપયોગ કરો ખરા?

આજે તો આ ટેક્નોલોજીને કારણે આપણે મોબાઈલમાં પણ તબલા અને તાનપૂરો વગાડી શકીએ છીએ. ટ્રાવેલિંગ દરમિયાન આ સુવિધાનો ઉપયોગ કરી શકાય છે. પરંતુ હું સંગીત સાધનાની આ પદ્ધતિની જરાય તરફેણમાં નથી. કારણકે આ રીતે તમે સાધના કરશો તો તમે સૂરોમાં ક્યારેય મહારત મેળવી શકશો નહીં.

આજકાલ બહુ ચગેલા ફ્યુઝન સંગીત વિશે આપ શું મંતવ્ય ધરાવો છો? પંડિત રવિશંકર અને યેહુદી મેન્યુહિનના ફ્યુઝન વિશે આપ શું કહેશો? 

પંડિતજીના ફ્યુઝનને ઘણું સ્વસ્થ ફ્યુઝન કહી શકાય. પરંતુ આજના સમયમાં ફ્યુઝન સંગીતને નામે જે સંગીત પીરસવામાં આવી રહ્યું છે તેની હું તદ્ન વિરુદ્ધ છું. ફ્યુઝન તો પ્રાચીન સમયથી થતું આવ્યું છે. દુનિયામાં સૌથી વધુ ફ્યુઝન આપણી વિવિધ સંસ્કૃતિઓમાં થયું છે. આપણે આજે જે કપડાં પહેરીએ છીએ એ પણ ફ્યુઝન જ તો છે! બાકી આપણે તો ધોતી કફની પહેરતા. નહીં? આમ, આ રીતે સંસ્કૃતિઓનું આદાન-પ્રદાન થતું જ રહ્યું છે. સંગીતની વાત કરું તો ફ્યુઝન હંમેશાં કર્ણપ્રિય હોવું જોઈએ, પણ જેને સાંભળીને તમારું મગજ ચકરાવે ચઢતું હોય એ ક્યારેય સ્વીકાર્ય નથી. આજકાલ તો ફ્યુઝનમાં સંગીતને નામે માત્ર શોર જ થાય છે. રવિશંકરજીએ જેટલા લોકો સાથે ફ્યુઝન કર્યું એ અત્યંત ઉચ્ચ કક્ષાનું હતું. કારણકે રવિશંકરજીએ તેમના સંગીત સાથે ક્યારેય બાંધછોડ કરી નથી. એમણે હંમેશાં રાગમાં જ વગાડ્યું અને પેલા લોકો પાસે પણ રાગમાં વગાડાવ્યું. હું આજના કલાકારોને સંદેશ આપવા માગું છું કે ફ્યુઝન સંગીત કંઈ ખરાબ નથી. પરંતુ તમારા સંગીતથી તમે કંઈક સારું આપી શકતા હો તો જ એના અખતરા કરજો, પોતાના મૂળ સંગીતના ભોગે ક્યારેય કશું કરવું નહીં.

આજે રિયાલિટી શૉના માધ્યમથી કલાકારો રાતોરાત સ્ટાર બની જવાની ઇચ્છા રાખે છે. આ અંગે તમારું શું કહેવું છે?

સંગીતમાં તમે જેટલી સાધના કરશો એટલા વધુ ટકી શકશો એ સાદુ ગણિત છે. પંડિત ભીમસેન જોષી, પંડિત રવિશંકર કે ઉસ્તાદ અલીઅકબર ખાં સાહેબ જેવા લોકો સાઠથી સિત્તેર વર્ષ સુધી ટકી રહ્યા અને પોતાના પદ પર કાયમ રહ્યા એની પાછળનું કારણ શું છે? આજકાલના લોકો તો આજે આવશે અને આવતી કાલે ખોવાઇ પણ જશે. એનું કારણ એ જ છે કે એમનામાં ધીરજ નથી અને તેમને કંઈક પામવાની ઘણી ઉતાવળ હોય છે. પરંતુ કોઈ પણ ક્ષેત્રમાં શોર્ટકટ નથી હોતો. તમારા પત્રકારત્વમાં પણ કોઈ શોર્ટકટ નથી. જ્યાં સુધી સોનું આગમાંથી પસાર નહીં થાય ત્યાં સુધી તેને સોનાની ઓળખ નથી મળતી એ પ્રકૃતિનો નિયમ છે. આથી સંગીતમાં વર્ષો સુધી ટકવું હોય તો લાંબી સાધના પણ કરવી રહી. અમે બંને ભાઈઓ પિસતાળીસ વર્ષથી ગાઇ રહ્યા છીએ પરંતુ અમે હજુ સુધી ક્યારેય પાછળ ફરીને નથી જોયું. બાકી અમને પણ હમણાં સુધી ઘણી લોભામણી ઓફર મળી છે. પરંતુ અમે એ બધી નકારી અને અમારી સાધનામાં રચ્યાં-પચ્યાં રહ્યા.

તમે ક્યારેય ફિલ્મોમાં ગાયું છે?

મેં અને સાજન બંને જણે ફિલ્મોમાં ગાયું છે. મેં ગિરીશ કર્નાડ અને જયા પ્રદાની ‘સૂરસંગમ’ નામની ફિલ્મમાં સંગીત આપ્યું છે. આ ફિલ્મમાં મેં દસથી વધુ ગીતો ગાયા છે, જેમાં મેં લતાજી અને કવિતા કૃષ્ણમૂર્તિ સાથે કામ કર્યું હતું. સાજન મિશ્રાએ પણ આ ફિલ્મમાં એક ગીત ગાયું હતું પરંતુ કોઈ કારણોસર તે ગીતને ફિલ્મમાં લઈ શકાયું ન હતું. આ ઉપરાંત અમરિશ પુરી માટે પણ મેં ‘વો તેરા નામ’ નામની ફિલ્મમાં બે ગીતો ગાયા હતા. તો બે વર્ષ પહેલા ઇલીયા રાજા માટે પણ એક ગીત ગાયું હતું. ફિલ્મોમાં અમે ગમે એવા ગીતો ગાઈ શકતા નથી. અમે હંમેશાં રાગ આધારિત ગીતો ગાવાનો જ આગ્રહ રાખીએ છીએ. જોકે આજકાલ ફિલ્મી સંગીત તૈયાર કરવાની પદ્ધતિ એકદમ બદલાઇ ગઈ છે. હવે તો કોમ્પ્યુટરમાં પહેલાથી જ સેવ કરી રાખવામાં આવેલા મ્યુઝિકને એરેંજ કરવામાં આવે છે. પહેલા લક્ષ્મીકાંત-પ્યારેલાલ જેવા સંગીતકારો તેમનું મ્યુઝિક તૈયાર કરવામાં દિવસોની મહેનત કરતા હતા, જ્યારે આજે આમતેમથી ક્યાંકથી ઊઠાવીને જરાસરખી જોડતોડ કરો એટલે સંગીત તૈયાર! કદાચ એટલે જ આજના ગીતો લોકો જલદી ભૂલી જાય છે. ‘મોહે પનઘટ નંદલાલ છેડ ગયો રે’ને લોકો આજે પણ યાદ કરે છે એનું કારણ શું? કારણકે આવા ગીતો તૈયાર કરવા પાછળ કલાકારોની મહેનત રહેલી હતી.■

તસવીરો- પ્રતીક ભાલાવાલા

Tuesday, March 25, 2014

ખુશવંત સિંઘે જાતે જ પોતાની મૃત્યુનોંધ લખી હતી!

અહીં જે વ્યક્તિ સૂતી છે એણે માણસ કે ભગવાન કોઈને પણ છોડ્યા ન હતા, એ માત્ર જમીનની સપાટી પરનો કણ હતો. આથી એની પાછળ તમારા આંસુ ખર્ચ કરશો નહીં. તેને સૂગ ચઢે એવી ગંદી વાતો લખવાની ઘણી મજા આવતી હતી. આથી ઇશ્વરનો આભાર માનજો કે તે બંદુકનો દીકરો મૃત્યુ પામ્યો છે.
દેશના જાણીતા લેખક અને પત્રકાર ખુશવંત સિંઘે ગત સપ્તાહે આ દુનિયાની વિદાય લીધી. પરંતુ વર્ષો પહેલા મૃત્યુની પૂર્વ તૈયારીના ભાગરૂપે તેમણે ઉપરની મૃત્યુનોંધ લખીને તૈયાર રાખી હતી. જોકે એમણે તો એક-બે કબ્રસ્તાન વાળા સાથે પણ તેમની કબર ક્યાં તૈયાર કરવી એ માટેની વાતાઘાટો કરી જોયેલી. પણ કબ્રસ્તાનવાળા અને ખુશવંત સિંઘ એમ બંને પાર્ટીઓને એકબીજાની શરતો પસંદ ન આવતા તેમણે કબ્રસ્તાનમાં પોઢવાનો વિચાર માંડી વાળ્યો હતો.

૨ ફેબ્રુઆરી ૧૯૧૫ના રોજ પંજાબના હદાલી(આજના પાકિસ્તાન) ખાતે જન્મેલા ખુશવંત સિંઘ પૈસા અને દિલ બંને બાબતે ઘણાં અમીર હતા. તેમની જન્મભૂમિ પાકિસ્તાનમાં હોવાને કારણે તેમને પાકિસ્તાન માટે હંમેશાં સોફ્ટ કોર્નર રહ્યો છે. આ કારણે દેશમાં તેમની ઘણી  ટીકા પણ થઈ છે પરંતુ ટીકાઓની ચિંતા કરે એ બીજા ખુશવંત પાજી નહીં! તેમના પિતા એટલેકે દિલ્હીના અંગ્રેજો કે જમાને કે બિલ્ડર શોભા સિંઘની એવી ઈચ્છા હતી કે તેમનો દીકરો ખુશવંત વકીલ બને. પિતાની ઈચ્છાને માન આપીને તેમણે લંડન જઈને વકીલાત કરી અને આઠ વર્ષ સુધી લાહોર હાઇકોર્ટમાં પ્રેક્ટિસ પણ કરી. પણ તેમનું મન રહી રહીને લેખન તરસ ખેંચાતું હતું આથી વકીલાત ઉપરાંત ભારતીય વિદેશ મંત્રાલયની મોભાદાર નોકરી છોડીને ૧૯૫૧થી પત્રકારત્વમાં ઝંપલાવ્યું અને પછી જે બન્યું એ બધુ હવે ઈતિહાસ તરીકે લેખાય છે.

‘ઇલ્સ્ટ્રેટેડ વીકલી ઓફ ઈન્ડિયા’ની તેમની પ્રખ્યાત કોલમ ‘વિથ મેલિસ ટુવર્ડ્ઝ વન એન્ડ ઓલ’માં ભલભલાને અડફટે ચઢાવ્યા છે. ચાળીસ વર્ષોથી વધુ ચાલેલી તેમની આ કોલમ દેશના વિવિધ અંગ્રેજી અને પ્રાદેશિક અખબારોમાં પ્રકાશિત થતી રહી છે. અત્યાર સુધીમાં તેમનું અખબારી લેખન અને સાહિત્ય જેટલું ચર્ચાયું છે એનાથી વધુ ચર્ચા ખુશવંત સિંઘ માટે થઈ હશે. કારણકે સ્વાભાવિકપણે તેઓ આકર્ષક અને બહુમુખી વ્યક્તિત્વના માલિક હતા. સામાન્ય રીતે ભારતના લેખકો ધર્મ, જાતિ કે સેક્સ જેવા વિષયો પર ઝડપથી લખવા તૈયાર થઈ શકતા નથી અને જો લખવાની હિંમત પણ કરે તો સ્પષ્ટ વાતો ન લખતા ગોળ ગોળ વાતો કરતા હોય છે. પરંતુ ખુશવંતે મોટેભાગે આવા વિષયો પર બેધડક અને સીધી ભાષામાં પોતાની કલમ ચલાવી છે. તેમના પર સાહિત્યમાં કામુક વર્ણનોનો વધુ પડતો ઉપયોગ કરતા લેખકનો થપ્પો લાગ્યો છે પરંતુ તેમણે ક્યારેય આ બાબતને નકારી નથી. બલ્કે એમણે તો એમની આત્મકથામાં પણ પોતે દરેક દેશની સ્ત્રીઓ સાથે શરીર સંબંધ બાંધ્યા છે અને આ ઉંમરે(૯૦ વર્ષની ઉંમરે!) પણ તેઓ સેક્સના વિચારો કરે છે અને દીવાસ્વપ્નો જુએ છે એવી કબૂલાત કરી હતી. બોલો, આવી તાકાત ભારતના કયા લેખકમાં હતી કે છે?

ખુશવંત સિંઘની મુખ્ય ખાસિયત એ હતી કે તેઓ કોઈ પણ વિચાર અથવા માન્યતાને જડસુઓની વળગી રહેતા ન હતા. ૧૯૭૫ની ઈમરજન્સીને તેમણે આપેલા જાહેર સમર્થન બાદ તેમને ઈન્દિરા ગાંધીના ચમચા કે ખુશામત સિંઘના નામે ઓળખવામાં આવતા. જોકે આ એક વાસ્તવિકતા પણ હતી કે તેઓ ગાંધી પરિવારના ઘણાં નજીક હતાં. પરંતુ સુવર્ણ મંદિરમાં થયેલા ઓપરેશન બ્લૂસ્ટાર અને અને ૧૯૮૪ના શીખ હત્યાકાંડ પછી તેઓ ઈન્દિરા અને રાજીવ ગાંધી વિશે વિરોધી મત ધરાવતા થઈ ગયેલા. આ મુદ્દે તેઓ એવા તો ભડક્યા હતા કે તેમણે તેમનો પદ્મભૂષણ પણ સરકારને પરત કરી દીધો હતો. થોડાં વર્ષો પહેલા પણ જ્યારે વરુણ ગાંધીએ મુસ્લિમો વિરુદ્ધ ભડકાઉ ભાષણ કરેલું ત્યારે તેમણે તેને ગટરની ભાષા કહીને વખોડી કાઢ્યું હતું. અને તેમનો ઉછેર બરાબર નથી થયો એવું વિધાન કર્યું હતું.

જીવનના અંત સુધી તેઓ ધર્મ અને ઇશ્વર જેવી વસ્તુઓને તૂત ગણતા રહ્યા. પરંતુ આ જ માણસે શીખ ધર્મની રજેરજ માહિતીને સમાવી લેતું ‘અ હિસ્ટરી ઓફ શીખ્સ’ પુસ્તક બે ભાગમાં લખ્યું છે. શીખ ધર્મ ઉપરાંત તેઓ જૈન, હિન્દુ, ઈસલામ કે ખ્રિસ્તી ધર્મ વિશે ઊંડુ જ્ઞાન ધરાવતા હતા. તેમના ઘરના અભ્યાસ ખંડમાં તેમણે માત્ર બે જ વ્યક્તિના ફોટા રાખ્યા છે, એક ગાંધીજી અને બીજા મધર ટેરેસા! પણ ગાંધીજીના જીવનથી અત્યંત પ્રભાવિત એવા ખુશવંત સિંઘને રોજ રાત્રે ત્રણ પેગ નહીં પીએ ત્યાં સુધી ચેન પડતું ન હતું! તેમના અવસાનના સમાચાર આવ્યા બાદ અમે તેમના હાથ નીચે પત્રકારત્વની તાલીમ પામેલા અને સુરતમાં સ્થાયી થયેલા શ્રીમતી બલબીર રૈનાનો સંપર્ક કર્યો હતો. તેમને અમે ખુશવંત સિંઘના શરાબના શોખ વિશે પૂછ્યું ત્યારે ‘ગુજરાત ગર્ડિયન’ને તેમણે જણાવ્યું કે, ‘દિલ્હીના સુજાનસિંઘ પાસેના તેમના ઘરમાં તેઓ રોજ સાંજે બારી પાસે બેસી જતા અને બગીચામાં રમતા બાળકોને જોતા જોતા શરાબની મજા લેતા હતા. શરાબ પીતી વખતે તેમને એકદમ એકાંત જોઈતું અને તેઓ કોઈની પણ કંપની ચલાવી લેતા નહીં. શરાબ સિવાય જો તેમણે કોઈને બહુ પ્રેમ કર્યો હોય તો એ ઉર્દુ ભાષા હતી. આ ઉપરાંત તેમને કૂતરા અને બાળકો પણ ઘણાં પસંદ હતા.’

એકાંત અને મૌન માટે ઘણો ઊંચો અભિપ્રાય ધરાવતા ખુશવંત સિંઘ મોટે ભાગે એકલા રહેવાનું પસંદ કરતા હતા. પોતે ૯૯ વર્ષ સુધી જીવી શક્યા એનો શ્રેય પણ તેઓ તેમના એકાંતવાસને જ આપતા હતા. તેઓ આટલુ લાંબુ અને ઉચ્ચ સ્તરનું જીવન જીવ્યા પણ તેમને નજીકના કે જિગરજાન કહી શકાય એવા ઘણાં ઓછા મિત્રો હતા. છેલ્લાં કેટલાક વર્ષોમાં મોટા ભાગનો સમય તેઓ વાંચનમાં અથવા સંગીત સાંભળવામાં કાઢતા હતા. જીવનના અંતિમ શ્વાસ સુધી લખવું છે એવી તેમની ઇચ્છા હતી પરંતુ અસ્વસ્થતાને કારણે લખી શક્યા નહોતા. મૃત્યુની આગલી રાત્રે પણ તેમણે થોડો શરાબ પીધો હતો મૃત્યુના દિવસે સવારે તેઓ તેમની પ્રિય ક્રોસવર્ડની રમત પણ રમ્યા હતા. તેમને નવરા બેસી રહેવું પસંદ ન હતું. જીવનની છેલ્લી ઘડી સુધી તેઓ પ્રવૃત્ત પણ રહ્યા હતા. ચૂંટણીને કારણે રાજકારણના ઢગલાબંધ સમાચારો વચ્ચે ખુશવંત સિંઘના અવસાનના સમાચાર ભલે હાંસિયામાં ધકેલાઈ ગયા હોય પરંતુ તેમનું કામ અને જીવન જીવવાનો અભિગમ ક્યારેય નહીં ભૂલાય. ભારતીય પત્રકારત્વ અને સાહિત્ય જગતમાં હંમેશાં તેમનું નામ અમર રહેશે. ■

ખુશવંત સરદારજીઓ પર વ્યંગ કરતા


ખુશવંત સિંઘનું પહેલું પુસ્તક ‘ધ માર્ક ઓફ વિષ્ણુ એન્ડ અધર સ્ટોરીઝ’ ૧૯૫૦માં પ્રકાશિત થયું હતું. તેમના ‘ધ હિસ્ટરી ઓફ શીખ્સ’, ‘ટ્રેન ટુ પાકિસ્તાન’, ‘આઇ શેલ નોટ હિયર ધ નાઇટએંગલ’, ‘ટ્રેજેડી ઓફ પંજાબ’, ‘દિલ્હી’, ‘સેક્સ, સ્કોચ એન્ડ સ્કોલરશિપ’, ‘ધ કંપની ઓફ વુમન’ અને ‘ડેથ એટ માય ડોર સ્ટેપ’ જેવાં પુસ્તકો અત્યંત વંચાયા અને વખણાયા છે. ૨૦૦૨માં તેમણે ‘ટ્રુથ, લવ એન્ડ લીટલ મેલિસ’ નામની આત્મકથા પ્રકાશિત કરી હતી, જેમાં તેમણે તેમના જીવનની અંતરંગ ઘટનાઓ ઉપરાંત આઝાદી પહેલાના ભારત અને ત્યાર બાદ ઝડપથી બદલાઈ ગયેલા ભારતનું અદભુત નિરૂપણ કર્યું છે. તેઓ પોતે શીખ હતા તે છતાં તેઓ સરદારજીઓ પર વ્યંગ કરતા. સંતા-બંતા સિરિઝના જોક્સની શરૂઆત તેમણે કરી હતી. ભારત પાકિસ્તાનના ભાગલા વખતે મોહમ્મદ અલી ઝીણાએ તેમને પાકિસ્તાન રહી જવા માટે લાહોર હોઈકોર્ટના જજ બનાવવાની ઓફર કરી હતી. પરંતુ તેમણે ઝીણાની ઓફરને નકારી દીધી હતી. તેમને ૧૯૮૦થી ૧૯૮૬ સુધી રાજ્યસભાના સાંસદ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ૨૦૦૬માં તેમને  પંજાબ રત્ન અને ૨૦૦૭માં દેશના બીજા સર્વોચ્ચ સન્માન પદ્મવિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઇશ્વરમાં ન માનતા હોવા છતાં તેઓ ઇશ્વરને ‘બડે મિયાં’ના નામે સંબોધતા અને તેઓ જ્યારે પણ નકારાત્મકતાથી ઘેરાતા ત્યારે ગુરુદ્વારામાં જઈને બેસતા હતા.

Thursday, March 13, 2014

યે પેરોલ કા જુગાડ ક્યાં હૈ?

ગયા સપ્‍તાહે વ્હોટ્સએપ પર એક મેસેજ ફરતો થયેલો કે સુબ્રતો રોય સંજય દત્તને પૂછે છે કે “ભાઈ યે પેરોલ કા ક્યા જુગાડ હે?” ત્યારે સંજય દત્ત જવાબ આપે છે કે, “મુજે તો પેરોલ કે લિયે ‘માન્યતા’ પ્રાપ્‍ત હુઈ હે!” હજુ તો સુબ્રતો રોય પર યોગ્ય રીતે અદાલતી કાર્યવાહી શરૂ નથી થઈ અને તેમને કોઈ સજા પણ નથી સંભળાવાઈ. તેથી સુબ્રતો રોય હજુ પેરોલના ચક્કરમાંથી બહાર છે. આ તો એક રમૂજ હતી. પરંતુ થોડો ગહન વિચાર કરીએ તો વગદાર કેદીઓ માટે પેરોલ એ મુકરર સજામાંથી મુક્તિ મેળવવાના ‘જુગાડ’થી વધુ કંઈજ નથી. આ વાત અનેકવાર સો ટકા સાચી સાબિત થઈ છે અને તેનું તાજું ઉદાહરણ સંજય દત્તને ગણી શકાય. જોકે સંજય દત્તના ચાહકો અને તેના પ્રત્યે સહાનુભૂતિ રાખનારા લોકોને કદાચ આ વાત ગળે નહીં ઉતરે!

ભારતીય દંડ સંહિતાના પ્રિઝન એક્ટ ૧૯૦૦માં ગુનેગારોને પેરોલ પર મુક્ત કરવાની જોગવાઈ છે, જે હેઠળ જેલના અધિકારીઓ, સિનિયર પોલીસ અધિકારીઓ અને જિલ્લા ન્યાયાધીશનું એક પેરોલ બોર્ડ ગુનેગારે કોઈ કારણોસર કરેલી પેરોલ અરજી પર વિચાર કરીને તેને રજા આપવી કે નહીં તેના નિર્ણયો કરતું હોય છે. વર્ષ ૧૯૮૪માં સર્વોચ્ચ અદાલતે આપેલા ચુકાદામાં જણાવ્યું હતું કે, કેદીએ પેરોલ પર છૂટવા કરેલી અરજીના પંદર દિવસની અંદર તેના પેરોલનો નિર્ણય થઈ જવો જોઈએ. આ ચુકાદામાં અદાલતે એમ પણ જણાવ્યું હતું કે, ગંભીર બીમારી, સ્વજનના મૃત્યુના કિસ્સામાં કેદીએ કોઈ કારણસર તાત્કાલિક બહાર જવું પડે એમ હોય તો જવાબદાર અધિકારીઓએ ઝડપથી પ્રકિયા હાથ ધરવી જોઈએ. સામાન્ય કિસ્સામાં છથી સાત દિવસમાં પેરોલ અરજી પર સુનાવણી થઈ જતી હોય છે.

જાણીતા ક્રિમિનલ લોયર અમિત કુમારના જણાવ્યાનુસાર, ક્રિમિનલ પ્રોસિજર કોડમાં કેદીને પેરોલ પર મુક્ત કરવાની જોગવાઈ જ નથી. આ ઉપરાંત બધા કિસ્સામાં ગુનેગારોને પેરોલ પર હવાફેર કરી આપવાની મંજૂરી પણ નથી મળતી. જો અદાલતને અરજદારની દલીલ પાયાવિહોણી લાગે તો તેની અરજી ફગાવી પણ શકે છે. પણ જો કેદીની અરજી નકારી કઢાઈ હોય તો જેમ સામાન્ય કિસ્સામાં બને છે એમ અરજદાર અદાલતના નિર્ણયને ઉપલી અદાલતમાં પડકારી શકે છે. આવા એક કિસ્સામાં દિલ્હી હાઈકોર્ટે ગુરદીપ બગ્ગા નામના એક કેદીની પેરોલ અરજી ફગાવી કાઢી હતી. બગ્ગાએ બીમાર માતાની ચાકરી કરવા માટે બે વર્ષના પેરોલની માગણી કરી હતી. પરંતુ અદાલતના ધ્યાનમાં આવ્યું કે તેના ઘરમાં બીમાર માતાનું ધ્યાન રાખવા બે મોટી બહેનો હાજર છે. તેથી અદાલતે બગ્ગાની ત્યાં કોઈ જરૂરિયાત નથી એમ કહીને તેને ઘરે જવાની મંજૂરી આપી ન હતી. વકીલાતના અભ્યાસક્રમમાં છાશવારે આવતા આવા કેસ સ્ટડીની ચર્ચા અહીં એટલા માટે કરવી પડી કે, પેરોલની અરજી માત્ર સામાન્ય કેદીના કિસ્સામાં જ નકારવામાં આવે છે કે ‘આમ અને ખાસ’ કેદી જેવો ભેદ નહીં રાખીને તમામ કેદીઓની અરજી પર સમાન વિચાર કરવામાં આવે છે?

સંજય દત્ત પાસે પણ તેમની પત્ની માન્યતાની બીમારીનું કારણ છે. આશરે બે વર્ષ પહેલા જ જોડિયા બાળકોની માતા બનેલી માન્યતા માટે બીમારી સાથે નાના બાળકોને એકસાથે સંભાળવાનું મુશ્કેલ હોઈ સંજય દત્ત પાસે પેરોલ લેવા સિવાય છૂટકો ન હતો. પરંતુ બધા સેલિબ્રિટી કે વગદાર કેદીઓના કિસ્સામાં આવું બનતું નથી. તેઓ પેરોલનો ઉપયોગ યેનકેન પ્રકારે હવાફેર કરવા માટે જ કરતા હોય છે. આ માટે અમિત કુમાર કહે છે કે, “પેરોલની જોગવાઈનું અર્થઘટન એવું પણ થઈ શકે છે કે કેટલાક લોકો તેમની સત્તા કે વગનો દુરુપયોગ કરે છે. આને કારણે પ્રભાવશાળી લોકો આ જોગવાઈનો ખોટો ફાયદો ઉઠાવે છે અને બાકીના સામાન્ય કેદીઓ જેલમાં જ સડે છે.” વર્ષ ૧૯૯૩માં મુંબઈ બોમ્બ વિસ્ફોટ કેસમાં દોષી સાબિત થયેલા અને પાંચ વર્ષની કેદની સજા પામેલા અભિનેતા સંજય દત્ત પ્રત્યે મહારાષ્ટ્ર સરકારે દાખવેલા કૂણાં વલણને લઈને બોમ્બે હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી હતી. ગયા વર્ષે સંજય દત્તની સજાની સુનાવણી થઈ એ પછી આ સેલિબ્રિટી કેદી કુલ ૩૦૭ દિવસમાંથી ૧૧૮ દિવસ બહાર રહ્યો છે. આમ, આવા કેદીઓને વારંવાર મળતી પેરોલને કારણે તેમને મળતી સજાની ગંભીરતા કેટલી રહી એ વિશે સવાલ છે.

જેસિકા લાલ મર્ડરકેસનો દોષી મનુ શર્મા
આ સજામાં પેરોલની સુવિધાનો લાભ ઉઠાવી ચૂકેલા વગદારોમાં સૌથી પહેલો ક્રમ જેસિકા લાલ મર્ડર કેસના મુખ્ય દોષી અને ચંદીગઢના કોંગી નેતા વિનોદ શર્માના પુત્ર મનુ શર્માનો આવે. રીઢા ગુનેગારની વ્યાખ્યામાં સમાવી શકાય એવો મનુ શર્મા અનેક વખત નજીવા કારણોસર પેરોલની મજા લેતો હતો. વર્ષ ૨૦૦૯માં મનુ શર્મા એક વાર દાદીની અંતિમ ક્રિયામાં જવાનું કહીને અને એક વાર માતાની બીમારીનું કારણ ધરીને જેલની બહાર આવ્યો હતો. પરંતુ જે દાદીની અંતિમ ક્રિયા માટે એ બહાર આવ્યો હતો એ દાદી તો વર્ષ ૨૦૦૮માં જ સ્વર્ગે સિધાવી ગયા હતા, તો બીમાર માતા ચંદીગઢમાં યોજાનારી આઈપીએલ જેવી જ કોઈ ક્રિકેટ મેચ માટે પ્રેસ કોન્ફરન્સ કરવામાં વ્યસ્ત હતા. આટલું ઓછું હોય એમ મનુ શર્મા પેરોલ લઈને નાઈટ ક્લબમાં ઝુમતો પણ ઝડપાઈ ગયો હતો!

આ દેશમાં એવા કેટલાય કિસ્સા છે, જેમાં અનેક નબીરા વર્ષો સુધી ચાલતી ન્યાયિક પ્રક્રિયાનો લાભ લઈને પહેલાં સરેરામ રખડ્યા છે અને દોષી પુરવાર થઈને વારંવાર પેરોલ પર છૂટ્યાં છે. જેસિકા લાલ મર્ડર કેસનો બીજો દોષિત અને ઉત્તરપ્રદેશના રાજકારણી ડી.પી. યાદવનો પુત્ર વિકાસ યાદવ ૩૦ મે, ૨૦૦૮થી આઠમી ફેબ્રુઆરી, ૨૦૦૮ સુધીના બાવીસ મહિનામાં કુલ ૬૬ વખત પેરોલ પર છૂટીને દિલ્હીમાં રખડપટ્ટી કરી ચૂક્યો છે. સજામાં પેરોલની જોગવાઈ હોવી એ માનવ અધિકારની દૃષ્ટિએ યોગ્ય છે અને કાયદા કે બંધારણમાં આવી જોગવાઈ હોવી જ જોઈએ. કોઈ પણ ગુનેગારને ફક્ત તેના અપરાધને કારણે મૂળભૂત અધિકારોથી વંચિત ન જ રાખી શકાય. પરંતુ આપણી ભ્રષ્ટ સિસ્ટમ દેશના વગદાર અને પ્રભાવશાળી લોકોને પેરોલનો કંઈક વધારે પડતો જ લાભ આપે છે. બળાત્કાર કે હત્યાના દોષિતો પેરોલનો લાભ લઈને સમાજમાં ખુલ્લેઆમ ફરતા હોય એ તેમના ગુનાનો ભોગ બનનારા પીડિતોનું અને ન્યાય પ્રક્રિયાનું અપમાન છે.

સંજય દત્ત ખ્યાતનામ અભિનેતા છે એટલે તે લોકોની સહાનુભૂતિનો હક્કદાર બન્યો અને તેના પેરોલના સમાચારો ચમક્યા ત્યારે દેશભરની ટીવી ચેનલો પર રાત્રે આ વિષયે ચર્ચા પણ થઈ. પરંતુ તેના બદલે કોઈ સામાન્ય ગુનેગાર હોત તો તેને સાચું કારણ હોવા છતાં આટલા ઝડપથી અને આટલા બધા દિવસની પેરોલ મળી શકી હોત? જવાબ સ્પષ્ટ છે, ના. કાયદો કે ન્યાય પ્રક્રિયા આમ તો બધા માટે સમાન છે પરંતુ વગદાર લોકો મોટા વકીલોની મદદથી પેરોલનો મનફાવે એમ ઉપયોગ કરે છે.

જેલમાં કેદીઓનો ભરાવો અટકાવવા પેરોલ!


આપણે ત્યાં વર્ષ ૧૯૯૬માં સર્વોચ્ચ ન્યાયાલયે એવી ટિપ્પણી કરી હતી કે આપણી જેલોમાં કેદીઓનો વધુ પડતો ભરાવો થઈ જવાથી જેલ અધિકારીઓને પડતી હાલાકીને નાથવા કેદીઓને વધુમાં વધુ પેરોલ મળવી જોઈએ. એ તો ઠીક સર્વોચ્ચ અદાલતે દેશની તમામ જેલ ઓથોરિટીને એવી સલાહ પણ આપી હતી કે, આ માટે અરજદાર કેદીઓ પર પેરોલના બોન્ડનું ભારણ બને એટલું ઓછું કરવું જેથી કેદીઓને પેરોલ લેવામાં સરળતા રહે! આ બાબતે અમેરિકાનું કેલિફોર્નિયા રાજ્ય આપણા કરતાં પણ આગળ છે કારણકે તાજેતરમાં જ રજૂ કરવામાં એક આંકડા મુજબ ગયા વર્ષે કેલિફોર્નિયાની જેલોમાં કેદીઓના વધુ પડતા ભરાવાને કારણે ૧૪૦૦ જેટલા કેદીઓને પેરોલ પર છોડવામાં આવ્યા હતા.

Wednesday, March 5, 2014

નાની ઉંમરે સેલિબ્રિટી રાઈટર બનેલો આઈઆઈટિયન

ગંગાની ગોદમાં..
એક યુવાન ખભે થેલા બાંધીને દેશભરની સફરે નીકળી પડે છે. કારણકે તેણે વિવિધતામાં એકતા ધરાવતા આ દેશના એક એક પ્રદેશ, ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિ, સ્થાનિક ભાષાઓ અને વિવિધ પ્રદેશોના ખોરાક વિશે જાણકારી મેળવવી હતી. આ રખડપટ્ટી દરમિયાન ક્યારેક દુર્ગાપૂજાનો આનંદ લૂટવા કોલકાત્તા પહોંચે તો ક્યારેક કુંભમેળામાં ગંગા કિનારે કલાકો સુધી સાધુઓની સાથે બેઠો રહે છે. એક વર્ષ સુધી આ યુવાન કોઈ પણ સવલત અને આગોતરા આયોજન વિના દેશભરમાં ઘૂમે છે અને આપણાં દેશ વિશેની રજે રજ માહિતીઓ ભેગી કરે છે. આ રીતે દેશભરમાં અલગારી રખડપટ્ટી કરનાર તે યુવાન દેશનો નેશનલ બેસ્ટ સેલર પુસ્તકોનો લેખક હતો. આ રખડપટ્ટી દરમિયાન પણ તેના બે પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યાં હતાં પરંતુ તેને તેના લેખનમાં સતત કંઈક ખૂટતું જણાતું હતું. આથી તે આ રીતે પ્રવાસે નીકળે છે. તેના આ અનુભવ પરથી તે ‘Route To Roots’ નામનું પુસ્તક લખી રહ્યો છે.  ‘ગુજરાત ગાર્ડિયન’એ એ યુવા લેખક સાથે વાતો કરીને એ જાણવાનો પ્રયત્ન કર્યો કે ભાઈ’સાબ આટલા ખ્યાતનામ લેખક હોવા છતાં પણ તને એવી તે શું કમી વર્તાઈ કે તારે આટલો બધો પ્રવાસ કરવો પડ્યો? આ લેખક એટલે દિલ્હીનો હર્ષ સ્નેહાંશુ, જે અમારી સાથે એ લેખક કઈ રીતે બન્યો અને એની હમણાં સુધીની યાત્રા કેવી રહી એ વિશે કેટલીક રસપ્રદ વાતો કરે છે.

આ ચોવીસ વર્ષીય લેખકે નાનપણથી ગુગલ અને માઈક્રોસોફ્ટ જેવી કંપનીમાં કામ કરવાના સપના જોયા હતા પણ ઓગણીસમે વર્ષે તેના જીવનની ગાડીએ અચાનક રૂટ બદલ્યો અને તે લેખક થઈ ગયો. આજે તે સેલિબ્રિટી રાઈટર છે અને તેના પુસ્તકો પર નેશનલ બેસ્ટ સેલરના લેબલ લાગી ગયા છે! નવી દિલ્હીમાં વસતા આ લેખક સાથે અમે જ્યારે વાત કરી ત્યારે પહેલી જ મુલાકાતમાં એણે અમને કોઈ ટિપિકલ આઈઆઈટિયન અથવા એન્જિનિયર હોવાનો પરચો આપી દીધો કારણકે અમે સવારે સાડા અગિયારે એને ફોન જોડ્યો ત્યારે તે ઘસઘસાટ ઊંઘતો હતો!

હર્ષના જીવનમાં પહેલો ટર્નિંગ પોઇન્ટ ૨૦૦૭માં આવ્યો જ્યારે તેણે જેઈઈ પાસ કરીને આઈઆઈટીમાં એડમિશન મેળવ્યું. આઈઆઈટીમાં પ્રવેશ મળ્યા પછી ઝારખંડના ધનબાદ જેવા નાનકડા શહેરમાં રહેતો હર્ષ આકર્ષણનું કેન્દ્ર બની ગયો હતો અને લોકોએ તેના પર શુભેચ્છાઓને વરસાદ કર્યો હતો. આ દરમિયાન તેના પડોશીએ એક દિવસ તેને ચેતન ભગતનું ‘ફાઈવ પોઈન્ટ સમવન- વોટ નોટ ટુ ડુ એટ આઈઆઈટી’ ભેટમાં આપ્યું. હર્ષે તેના જીવનમાં ક્યારેય ફિક્શન વાંચ્યું ન હતું, એણે તો માત્ર વિજ્ઞાનને લગતા પુસ્તકો જ વાંચ્યા હતા. પરંતુ ચેતનના પુસ્તકના સબ ટાઇટલ ‘વોટ નોટ ટુ ડુ એટ આઈઆઈટી’ને કારણે હર્ષે એ પુસ્તક વાંચ્યું અને તેનાથી ખૂબ પ્રભાવિત થયો. તે કહે છે કે, “હું નવમા ધોરણમાં હતો ત્યારથી જ મેં નક્કી કરેલુ કે મારે આઈઆઈટીમાં ભણીને ગુગલ અથવા માઈક્રોસોફ્ટ જેવી કંપનીઓમાં કામ કરવું છે. મેં આઈઆઈટી માટેની એન્ટ્રન્સ ક્રેક કરી ત્યાં સુધી માત્ર ભણતરનાં થોથા વાંચવા એ જ મારું એકમાત્ર લક્ષ્ય હતું. પરંતુ ચેતન ભગતનું પુસ્તક વાંચ્યા પછી મને એ સમજાયું કે ભણતર ઉપરાંત પણ જીવનમાં કરવા જેવું ઘણું છે. ખરું કહું તો આ પુસ્તક પછી મારા જીવનની દિશા બદલાઈ ગઈ.”

હર્ષ સ્નેહાંશુની પહેલી નવલકથા
ચેતનની નવલકથાએ હર્ષને દિલ્હી આઈઆઈટીનું એવું ઘેલું લગાડ્યું કે એને મુંબઈ આઈઆઈટીમાં એડમિશન મળતું હોવા છતાં એણે દિલ્હી પસંદ કર્યું. કારણકે એને એવું લાગતું હતું કે એ દિલ્હી આઈઆઈટીથી ઘણો પરિચિત છે! અને થયું પણ એવું જ. હર્ષ કહે છે કે, “મેં જ્યારે દિલ્હી કેમ્પસમાં પગ મૂક્યો ત્યારે કેમ્પસની એક એક દીવાલ, વિદ્યાર્થીઓ અને દિવેલીયા મોઢા લઈને ફરતા પ્રોફેસર્સને ઓળખતો હોય એવું મને લાગ્યું.” હવે હર્ષને ફિક્શન અને નોન-ફિક્શન વાંચનનો પણ ચસ્કો લાગ્યો અને આઈઆઈટીમાં પ્રવેશતા જ એણે ડેન બ્રાઉન અને ખાલિદ હુસૈની જેવા લેખકોની નવલકથાઓ વાંચવાની શરૂઆત કરી. આ દરમિયાન તે જ્યારે પણ તેના ઘરે જતો ત્યારે શહેરભરના લોકોના આકર્ષણનું કેન્દ્ર રહેતો અને લોકો, એમાંય વિદ્યાર્થીઓ તેની સાથે ફોટો પડાવવા કે આઈઆઈટી માટેની કેટલીક ટિપ્સ લેવા માટે તલપાપડ રહેતા. તેને થયું કે આઈઆઈટિયન હોવાને કારણે લોકો તેને સાંભળવા માટે ઉત્સુક હોય તો લોકો એના લખાયેલા શબ્દો પણ વાંચશે. આથી તેણે આઈઆઈટીમાં અભ્યાસ વખતે જ બ્લોગ લખવાનું શરૂ કર્યું.

હર્ષના બ્લોગને શરૂઆતમાં થોડી ઘણી વિઝિટ મળતા બધું બરાબર ચાલ્યું પણ પછીથી તેને આ બધુ નીરસ લાગવા માંડયું અને તેણે બ્લોગિંગ બંધ કરવાનો વિચાર કર્યો. આ જ અરસામાં દિલ્હી આઈઆઈટીના બીજા એક પૂર્વ વિદ્યાર્થી તુષાર રાહેજાની ‘ચેતન જેનર’ની ‘એનીથિંગ ફોર યુ મેમ- એન આઈઆઈટીયન્સ લવ સ્ટોરી’ નામની નવલકથા પ્રકાશિત થઈ અને હર્ષે એ વાંચી. એ વાંચ્યા પછી એને પણ થયું કે બ્લોગ પર આવી જ એક નવલકથાની જરૂર છે, જેથી બ્લોગને કંઈક અંશે રસપ્રદ બનાવી શકાય. હમણાં સુધીમાં હર્ષને લોકપ્રિય નવલકથા કઈ રીતે લખવી અને એમાં કયા પ્રકારનો મસાલો ભરવો એ વિશેનો ખ્યાલ આવી ગયો હતો. આથી તેણે બ્લોગ પર દર અઠવાડિયે નવલકથાનું એક પ્રકરણ લખવાનું શરૂ કર્યું, જેનું તેણે નામ રાખ્યું ‘ઉપ્સ!’. અહીં પણ તેણે એક આઈઆઈટિયનની જ લવસ્ટોરી આલેખી હતી. આ પ્રકરણો લખ્યા પછી હર્ષને એટલી તો ખબર હતી કે તેનો બ્લોગ વંચાશે, પરંતુ એને એવો ખ્યાલ ન હતો કે તેના બ્લોગ અને નવલકથાને પ્રચંડ સફળતા મળશે!

બ્લોગ પર સફળતા મળ્યા પછી એના મિત્રોએ તેને નવલકથા માટે કોઈ પ્રકાશક શોધવાની સલાહ આપી. આથી તેણે દિલ્હીના એક ખ્યાતનામ પ્રકાશકને મેઈલ પણ કર્યો. એક તરફ અંગ્રેજીમાં મોટા મોટા ભડવીરોને પ્રકાશક શોધવા માટે મહિના નીકળી જાય છે ત્યારે હર્ષને માત્ર એક જ કલાકમાં પ્રકાશકે સામેથી ફોન કરીને પુસ્તક છાપવા માટેની તૈયારી બતાવી. એનું કારણ એક જ હતું કે એ સમયે દિલ્હીના કેટલાક પ્રકાશકો ચેતન ભગતે શરૂ કરેલા માર્કેટનું પુનરાવર્તન કરીને આર્થિક સફળતા મેળવવા આતુર હતા, જેથી તેઓ પણ આઈઆઈટી અથવા એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડ ધરાવતા યુવા લેખકોની શોધમાં હતા. આમ, માત્ર ૧૯ વર્ષની ઉંમરે હર્ષનું પહેલું પુસ્તક પ્રકાશિત થયું, જેનું નામ ‘ઉપ્સ’માંથી ‘ઉપ્સ આઈ ફેલ ઈન લવ’ કરી નાંખવામાં આવ્યું હતું. ચેતન ભગતનું પહેલું પુસ્તક (૨૦૦૭) વાંચ્યા પછી માત્ર બે જ વર્ષમાં (૨૦૦૯) હર્ષનું પોતાનું પુસ્તક પ્રકાશિત થયું, જેના મથાળે પણ હવે ‘નેશનલ બેસ્ટ સેલર’નો થપ્પો લાગી ચૂક્યો છે.
જોકે નેશનલ લેવલ પર લેખક તરીકે પ્રસિદ્ધિ મળી હોવા છતાં અહીં તેની કહાનીમાં ટ્વિસ્ટ આવે છે કારણકે તેના આ પુસ્તકની વાર્તાથી તેના પિતા રાજી ન હતા. આ અંગે હર્ષ જણાવે છે કે, “હું આ પુસ્તકથી મારા માતા-પિતાને સરપ્રાઈઝ આપવા માગતો હતો, પુસ્તક જોયા પછી તેમને ઘણી ખુશી પણ થઈ પરંતુ પુસ્તક વાંચ્યા પછી તેમનો પ્રતિભાવ થોડો મોળો હતો. કારણકે પ્રેમચંદ જેવા સાહિત્યકારોને વાંચતા મારા પિતાને મારા પુસ્તકમાં કશું ઊંડાણ ન જણાયું. મને હજુ યાદ છે કે તેમણે ગંભીર સ્વરે કહ્યું હતું કે તેં લેખક બનવા માટે થોડી રાહ જોઈ હોત તો સારું થયું હોત.” હર્ષના પિતાનું માનવું હતું કે, ગલગલિયા કરાવતા નહીં પણ સારા લેખક બનવા માટે સારા સાહિત્યનું વાંચન અને પ્રવાસ કરવો જરૂરી છે.

એકલપંડે ભારતભ્રમણે નીકળેલો હર્ષ
પહેલી નવલકથા પ્રકાશિત થયા પછી બે વર્ષના ગાળામાં હર્ષે ‘ઉપ્સ!’નો બીજો ભાગ ‘આઉચ! ધેટ હર્ટ્સ’ અને ‘શી ઈઝ સિંગલ, આઈ એમ ટેકન એન્ડ વી આર કમિટેડ’ નામની એ જ પ્રકારની નવલકથાઓ લખી, જેમાં અફેક્શન, અફેર અને સેક્સ જેવા મરી મસાલા હોય. જો કે હર્ષના ત્રણ-ત્રણ પુસ્તકો આવી ગયા અને દેશમાં સેલિબ્રિટી લેખક ઓળખ મળી હોવા છતાં હર્ષના પિતા હજુ પણ તેનાથી ખુશ તો ન જ હતા. હર્ષના જણાવ્યા મુજબ તેના પુસ્તકોને લઈને તેમના સંબંધોમાં થોડી ખટાશ પણ આવી અને તેમની વચ્ચે ક્યારેક દલીલબાજી પણ થતી. હર્ષ ક્યારેક તેમને એમ પણ કહી દેતો કે તમારા બોસને કે ઓફિસ સ્ટાફને ગિફ્ટ આપી શકાય એવા પુસ્તકો હું લખી શકું એમ નથી. જોકે હવે તેને તેના પિતાની વાત સાચી લાગે છે આથી તેણે હવે પછી કંઈક ઊંડું અને માત્ર યુવાનો જ નહીં પરંતુ બધા વાંચી શકે એ પ્રકારનું લખવાનું નક્કી કર્યું છે.
હર્ષ અનુભવમાંથી સતત શીખતો રહે છે. આઈઆઈટીમાંથી ગ્રેજ્યુએટ થયા પછી હર્ષે તેના તેના મિત્ર સાથે ‘ધ વીટ્ટીશિટ.કોમ’ નામની કંપની ચાલુ કરી, જેમાં તેઓ લોકો પાસે વનલાઈનર્સ લખાવીને અથવા જાતે લખીને તેને ટીશર્ટ પર છાપતા હતા. શરૂ શરૂમાં બહુ ગાજેલી તેની આ કંપની બે વર્ષમાં જ બંધ થઈ ગઈ. આ કંપની બંધ થઈ જવા પાછળ ઘણાં બધા કારણો ઉપરાંત જુવાનિયાઓની નાદાનિયત પણ જવાબદાર હતી. આથી પોતે કરેલી ભૂલોનું પુનરાવર્તન કોઈ બીજું નહીં કરે એ માટે તેણે ‘બિકોઝ શિટ હેપન્ડઃ વોટ નોટ ટુ ડુ ઈન અ સ્ટાર્ટ અપ’ લખ્યું. આઈઆઈટીમાંથી પાસ થયાને તેને અઢી વર્ષ થઈ ગયા છે એ દરમિયાન બિઝનેસના નિષ્ફળ પ્રયાસ સિવાય તેણે આ અઢી વર્ષના ગાળામાં માત્ર ને માત્ર વાંચ્યું જ છે. હવે તેને ખ્યાલ આવી ગયો છે કે ઠોસ સંશોધન અને ઊંડી છણાવટ વિના સારું સાહિત્ય લખી શકાતું નથી.

આ માટે તેના પિતાએ પણ તેને સલાહ આપી હતી કે જો સારું લખીને વર્ષો સુધી વાચકોના દિલ પર રાજ કરવુ હોય તો આમ ઘરમાં બેસી રહેવામાં કોઈ ફાયદો નથી. આ માટે તારે ફરવું-રખડવું પડશે. પિતાની સલાહ માનીને હર્ષે ખભે થેલા બાંધ્યા અને એક વર્ષ સુધી કપરામાં કપરી પરિસ્થિતિઓમાં દેશભરમાં ખૂબ રખડ્યો. આ તેના માટે એક નવો અનુભવ હતો કારણકે એણે જોયેલું ભારત તેણે એનસાઇક્લોપિડિયાના થોથાઓમાં વાંચેલા ભારતથી કંઈક અલગ અને અનોખું હતું. તેના આ પ્રવાસના અનુભવો પરથી હવે એ ‘Route To Roots’ નામનું પુસ્તક લખી રહ્યો છે.

હર્ષ કબૂલે છે કે, આજ સુધી તેના જે પુસ્તકો છપાયા એ પુસ્તકનું કન્ટેન્ટ સારું હતું એટલે નહીં પરંતુ તેના માથે આઈઆઈટીનું લેબલ લાગ્યું હતું એટલે છપાયા છે. આજે માત્ર ભારતમાં તેના ૭૦૦૦થી વધુ ફેન છે. હાલમાં તે દિલ્હીની ‘યંગ ઈન્ડિયા ફેલોશિપ’માંથી ઈકોનોમિક્સ અને હિસ્ટરી જેવા વિષયો ભણી રહ્યો છે, જેથી દેશના ઈતિહાસ અને આર્થિક વ્યવસ્થા વિશે એ ઊંડાણમાં માહિતી મેળવી શકે. ભવિષ્યમાં તેણે પત્રકાર બનીને ફૂલ ટાઈમ રાઈટર બનવું છે. ■