Sunday, May 18, 2014

મલ્ટીટેલેન્ટેડ, મલ્ટીટાસ્કિંગ અલી ઝફર

આપણા મોટેરાઓ હંમેશાં સલાહ આપતા હોય છે કે દસ જગ્યાએ વલખા મારવા કરતા કોઈ પણ એક જ કામમાં ધ્યાન કેન્દ્રિત કરવું, જેથી આપણે તેમાં નિપુણતા મેળવી શકીએ. પરંતુ કેટલીક વ્યક્તિ વડીલોની આ આ સલાહને ધરાર ખોટી પાડતી હોય છે. આવી વ્યક્તિને આપણે મલ્ટીટેલેન્ટેડ કહીએ છીએ અને બોલિવુડ સ્ટાર અલી ઝફર આ કેટેગરીનું બેસ્ટ ઉદાહરણ છે. કારણકે મલ્ટીટેલેન્ટેડ વ્યક્તિ પણ આમ તો એક જ કામમાં સફળતા મેળવી શકે છે, જેના માટે બીજી બધી આવડત હોબી ગણાતી હોય છે. પરંતુ અલી ઝફરે જે  ક્ષેત્ર કે વિષય પર હાથ અજમાવ્યો તેમાં તે માત્ર સફળતા જ પામ્યો છે. તેની હમણાં સુધીની કારકિર્દીને ધ્યાનમાં રાખતા આપણે તેને સફળ ચિત્રકારનું, ગાયકનું, ગીતકારનું, સંગીતકારનું  કે અભિનેતાનું, જે કોઈ લેબલ લગાડવું હોય એ લગાડી શકાય છે.

વર્ષ ૧૯૮૦ની ૧૮મી મેના રોજ પાકિસ્તાનના લાહોર ખાતે જન્મેલો અલી જન્મથી જ ઘણો લકી હતો એમ કહી શકાય. તેના માતા-પિતા પાકિસ્તાનની પંજાબ યુનિવર્સિટીમાં અધ્યાપક હતા. નાનપણમાં અલીએ તેના પિતાને સતત ચિત્રો દોરતા જોયેલા એટલે કલા સાથેનો તેનો નાતો તે ઘણો નાનો હતો ત્યારથી જ બંધાઈ ગયેલો. ભણવામાં હોશિયાર અલીએ નાનપણથી જ ચિત્રકાર બનવાનું સપનું સેવ્યું હતું આથી વર્ષ ૧૯૯૮માં તેણે પાકિસ્તાનની ‘નેશનલ કોલેજ ઓફ આર્ટ’ના ફાઈન આર્ટ ડિપાર્ટમેન્ટમાં એડમિશન લીધું અને ચિત્રકળામાં ઘણાં ઊંચા માર્ક્સ સાથે તે ગ્રેજ્યુએટ થયો. તેને કોલેજના સમયગાળામાં પોપ મ્યુઝિકમાં રસ પડવા માંડેલો આથી તેના કેટલાક મિત્રો સાથે ક્યારેક આપણું પણ મ્યુઝિક આલબમ બહાર આવશે એવું તે સપનું જોતો. પણ તેને ખબર હતી કે મ્યુઝિક આલબમ બહાર પાડવું એ કંઈ ખાવાના ખેલ નથી કારણકે એ માટે અઢળક પૈસાની જરૂર પડતી હોય છે. યોગ્ય પૈસા એકઠા થઈ રહે એ માટે તેણે પાકિસ્તાનની ફાઈવ સ્ટાર હોટેલોમાં લાઈવ પોટ્રેઈટ દોરવાના શરૂ કર્યા અને બીજી તરફ એ ત્યાંની કેટલીક બ્રાન્ડ માટે મોડેલિંગ કરતો. આ દરમિયાન તેણે કેટલીક ટેલિવિઝન સિરિયલમાં પણ કામ કર્યું હતું.

આ બધા કામો કરવાને કારણે તે પાકિસ્તાનના યુવાનોમાં ખાસો લોકપ્રિય થયો અને તેને સેલિબ્રિટી સ્ટેટ્સ પણ મળ્યું. પરંતુ તે માત્ર સંગીતમાં જ રમમાણ હતો અને કોઈ પણ પ્રકારે તેણે તેનું મ્યુઝિક આલ્બમ બહાર પાડવું હતું. આ માટે ગીત તૈયાર કરવા કે સંગીત તૈયાર કરવા જેવી કેટલીક પાયાની તૈયારીઓ પણ તેણે શરૂ કરી દીધી હતી. આથી આર્થિક સદ્ધરતા પ્રાપ્ત કરતા જ તેણે આલબમ પર કામ શરૂ કરી દીધું અને ઘણી મહેનત બાદ વર્ષ ૨૦૦૩માં તેણે ‘હુક્કા પાની’ નામનું આલબમ બહાર પાડીને તેનું સપનું સાકાર કર્યું.
‘હુક્કા પાની’નું ‘છન્‍નો’ નામનું ગીત અત્યંત લોકપ્રિય રહ્યું અને આ આલબમને કારણે તેને પાકિસ્તાનની બહાર પણ પણ સારી એવી ખ્યાતિ મળી. (હિમેશ રેશમિયા અને ભપ્પી લાહિડીએ તેના આ આલબમાંથી કેટલીક ટ્યુનની તફડંચી કરી હોવાના આક્ષેપો પણ થયાં છે!) અલી એ પછી પાકિસ્તાનમાં ‘પ્રિન્સ ઓફ પોપ’ તરીકે ઓળખાવા લાગ્યો હતો. વર્ષ ૨૦૦૬માં તેણે તેનો બીજો મ્યુઝિક આલબમ લોન્ચ કર્યો.

‘મસ્તી’ નામના તેના આ આલબમને પણ પહેલા જેટલી જ લોકપ્રિયતા પ્રાપ્ત થઈ હતી. હવે તેણે એક નવો કીમિયો અજમાવ્યો. તેણે તેના આલબમ ‘મસ્તી’ના લોકપ્રિય ગીતોનું વીડિયો વર્ઝન તૈયાર કરવાનું શરૂ કર્યું. આ પ્રયોગમાં તેણે પાકિસ્તાનની કેટલીક અભિનેત્રીઓને લઈને વારાફરતી કેટલાક વીડિયો તૈયાર કરીને માર્કેટમાં મૂક્યાં. તેના આ પ્રયોગ દરમિયાન કેટલાકમાં તે સફળ પણ થયો.  તેના મ્યુઝિક આલબમ્સને કારણે તે ભારતમાં હોટ ફેવરિટ તો હતો જ પણ વર્ષ ૨૦૧૦માં આવેલી તેની પહેલી ફિલ્મ ‘તેરે બિન લાદેન’ને કારણે તેના ચાહકોમાં જબરો ઉછાળ આવ્યો. આ ફિલ્મને કારણે તેણે બોલિવુડમાં પહેલા સફળ પાકિસ્તાની અભિનેતા તરીકેનું સ્થાન મેળવ્યું તો તેના અભિનય અને પર્સનાલિટીને કારણે તેને એકસાથે ૪૦ જેટલી ફિલ્મોની ઓફર આવી. હમણાં સુધી તે સંગીતને જ પ્રાધાન્ય આપતો હતો પરંતુ તેના અભિનયના વખાણ થતાં હવે તે એક્ટિંગને વધુ ગંભીરતાથી લેવા માંડ્યો હતો. તેની પહેલી ફિલ્મ લો બજેટ હતી પણ થોડાં જ સમયમાં તેને કેટરીના કૈફ સાથે યશરાજની ‘મેરે બ્રધર કી દુલ્હન’માં કામ કરવાની તક મળી. જોકે તેની આ ફિલ્મ બોક્સઓફિસ પર ઠીક સાબિત થઈ હતી પરંતુ અહીં પણ તે લોકોનું તેની તરફ ધ્યાન આકર્ષિત કરવામાં સફળ તો રહ્યો જ હતો.

ત્યાર પછી તેણે વર્ષ ૨૦૧૨ની ‘લંડન પેરિસ ન્યુયોર્ક’ ફિલ્મમાં કામ કર્યું, જેમાં તેણે અભિનયની સાથે સંગીતકાર, ગીતકાર અને ગાયક તરીકે પણ કામ કર્યું. છેલ્લે તે ગયા વર્ષે આવેલી દિગ્દર્શક ડેવિડ ધવનની ક્લાસિક રિમેક ‘ચશ્મે બદ‍્‍દુર’માં દેખાયો હતો. ભારતમાં કામ કરીને તે ઘણો ખુશ છે અને તે ભારતના લોકોનો ઘણો આભાર પણ માને છે કારણકે અહીં કોઈએ તેને એ બહારથી કે ખાસ તો પાકિસ્તાનથી આવ્યો છે એવું ક્યારેય લાગવા દીધું નથી. અલી તેના જીવનમાં પૈસાને બહુ મહત્ત્વ આપતો નથી અને તે યુવા કલાકારોને પણ સલાહ આપે છે કે, ‘ક્યારેય પૈસાને કેન્દ્રમાં રાખીને કોઈ કામ નહીં કરવું. મહેનત અને લગનથી પોતાનું ગમતું કામ કરતા રહેશો તો પૈસો અને ખ્યાતિ બંને આપોઆપ આવશે.’  

Tuesday, May 13, 2014

હતા તોફાન જે દરિયે, હવે મારા વહાણે છે

ગુજરાતના ગઝલકારોએ ગઝલ સાહિત્યમાં માતબર સર્જન કર્યું છે પરંતુ વર્ષો સુધી આ ગઝલો કેટલાક મુશાયરાઓ સુધી જ સીમિત રહી હતી. પણ આજે એ ગઝલો ગુજરાત સહિત દુનિયાભરમાં ફેલાયેલા ગુજરાતીઓ ઘણા ઉત્સાહથી સાંભળે છે અને ગાય છે. આ ગઝલોને આટલી બધી પ્રખ્યાત કરવા માટે મનહર ઉધાસ જેવો અને જેટલો ફાળો કોઈએ નથી આપ્યો. તેમના કારણે વર્ષો સુધી લાયબ્રેરીના થોથાઓમાં સચવાયેલી ગુજરાતી ગઝલો કરોડો ગુજરાતીઓના મોબાઈલની પર્સનલ મ્યુઝિક લાયબ્રેરીમાં સંગ્રહિત છે. મનહર ઉધાસના પ્રયત્નોને કારણે જ અમેરિકામાં વસતી ગુજરાતી માતા તેના બાળકને ‘દીકરો મારો લાડકવાયો દેવનો દીધેલ છે’ ગાઈને સુવડાવે છે અને મુંબઇની લોકલમાં બો‌રિવલીથી ચર્ચગેટ જતો ગુજરાતી યુવાન ‘શાંત ઝરુખે વાટ નીરખતી રૂપની રાણી જોઈ હતી’ સાંભળીને વારંવાર મીઠા ફેન્ટસી સરી જાય છે.

મનહર ઉધાસનો જન્મ ૧૩ મેના રોજ સૌરાષ્ટ્રના જેતપુર ખાતે થયો હતો. મનહર, પંકજ અને નિર્મલ એમ ત્રણ ગાયક અને સંગીતકાર ભાઈઓમાં સૌથી મોટા એવા મનહર ઉધાસ ૧૯૬૦ના દાયકામાં મુંબઈ આવ્યા હતા. જોકે સામાન્ય રીતે જે રીતે લોકો મુંબઈ પહોંચે એ રીતે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કંઈક બનવા માટે નહીં પરંતુ મિકેનિકલ એન્જિનિયર તરીકે નોકરી મેળવવા માટે તેઓ મુંબઈ આવ્યા હતા! મુંબઈ પહોંચીને તેમણે કોઈક ટેક્ષ્ટાઈલ કંપનીમાં એન્જિનિયર તરીકે કામ શરૂ પણ કરેલું. પરંતુ તેમની નિય‌િતએ તેમના માટે કંઈક બીજું નક્કી કરી રાખ્યું હતું. એવામાં એક વાર તેમના નજીકના સંબંધી અને ગુજરાતી ફિલ્મોના નિર્માતા નાનુભાઈ ગઢવીએ સંગીતકાર બેલડી કલ્યાણજી-આણંદજી સાથે તેમની મુલાકાત કરાવી.


આ મુલાકાત ગાયક તરીકેની તેમની કારકિર્દીમાં મહત્ત્વનો વળાંક સાબિત થઈ. વર્ષ ૧૯૬૯માં ફિલ્મ ‘વિશ્વાસ’ માટે કલ્યાણજી-આણંદજી ‘આપ સે હમકો બિછડે હુએ એક ઝમાના બીત ગયા’ ગીત રેકોર્ડ કરી રહ્યા હતા ત્યારે ગીતના ગાયક મુકેશ શહેરમાં હાજર ન હતા. આથી મનહર ઉધાસ પાસે આ ગીત રેકોર્ડ કરાવીને પાછળથી મુકેશ પાસે ડબ કરશે એવું કલ્યાણજી-આણંદજીએ નક્કી કર્યું. કાર્યક્રમ મુજબ મનહર ઉધાસે ગીત રેકોર્ડ કર્યું. પરંતુ જ્યારે મુકેશે આ ગીત સાંભળ્યું ત્યારે તેમને મનહરનો અવાજ અત્યંત પસંદ આવ્યો અને તેમણે સંગીતકારોને સલાહ આપી કે મનહર ઉધાસે ગાયેલું આ ગીત ફિલ્મમાં જવું જોઈએ. આમ જોગાનુજોગ જ મનહર ઉધાસે બોલિવુડમાં ગાયક તરીકે પ્રવેશ કર્યો.

ત્યાર બાદ તેમણે બોલિવુડના ટોચના સંગીતકારો સાથે ‘પૂરબ ઓર પશ્ચિમ’, ‘રાજા સાહેબ’, ‘ફરેબ’, ‘કાગજ કી નાવ’ અને ‘સાથી’ જેવી ફિલ્મોમાં પાર્શ્વગાયન કર્યું. પરંતુ વર્ષ ૧૯૭૩માં આવેલી ‘અભિમાન’ ફિલ્મમાં લતા મંગેશકર સાથે તેમણે ગાયેલુ ‘લૂંટે કોઈ મન કા નગર’ ગીત અત્યંત હિટ રહ્યું અને આ કારણે તેમની લોકપ્રિયતા ટોચ પર પહોંચી ગઈ. તેમના અને મુકેશના અવાજમાં ઘણી સામ્યતાઓ હોવાને કારણે શરૂઆતમાં લોકો તેમણે ગાયેલા ગીતો મુકેશે ગાયા છે એવું સમજી બેસતા. સિત્તેરના આ દાયકામાં  એક તરફ મુકેશ અને મોહમ્મદ રફી જેવા સ્થાપિત ગાયકોનો બોલિવુડ સંગીત પર દબદબો હતો ત્યારે સંગીતની આછી પાતળી તાલીમ મેળવનાર યુવાન મનહરની કારકિર્દીનો ગ્રાફ સરળતાથી ઉપર ચઢી રહ્યો હતો. ફિલ્મ ‘કુરબાની’નું ‘હમ તુમ્હે ચાહતે હે’ અને ફિલ્મ ‘ઝાંબાઝ’નું ‘હર કિસી કો નહીં મિલતા’ જેવા ગીતો અત્યંત હિટ રહ્યા હતા. પરંતુ વર્ષ ૧૯૮૧માં સુભાષ ઘાઈની ‘હીરો’ ફિલ્મમાં ડેબ્યુ કરી રહેલા જેકી શ્રોફ માટે તેમણે ગાયેલુ ‘મેં તેરા જાનુ’ અને ‘પ્યાર કરને વાલે’ જેવા ગીત તેમની કારકિર્દી માટે માઈલસ્ટોન સાબિત થયાં.

ફિલ્મ ‘હિરો’ પછી તેમણે જેકી શ્રોફ માટે ઘણી ફિલ્મોમાં ગીતો ગાયા. તેમના માટે એવું પણ કહેવાય છે કે ‘હીરો’ પછી તેઓ સુભાષ ઘાઈ કેમ્પના સદસ્ય બની ગયા હતા. ત્યાર પછી આવેલી ઘાઈની ‘કર્મા’, ‘સૌદાગર’, ‘રામલખન’ અને ‘ખલનાયક’ જેવી ફિલ્મોમાં તેમને ગીત ગાવાનો મોકો મળ્યો હતો. હિન્દી સિનેમાની સાથે તેમણે બંગાળી, ઓરિયા, આસામી, અને પંજાબી જેવી પ્રાદેશિક ભાષાઓમાં પણ ગીતો ગાયા હતા. આ બધા ગીતોનો સરવાળો કરવા જઈએ તો ૩૦૦નો આંકડો અમસ્તોય પાર થઈ જાય! જોકે પાછળથી બદલાતા સમય સાથે બોલિવુડમાં પણ કેટલાક બદલાવ આવ્યા અને તેની સાથે બોલિવુડમાં મનહર ઉધાસને કામ મળવાનું ઘણું ઓછું થઈ ગયું. આ અરસામાં તેમણે ગુજરાતીમાં ગાવાનું શરૂ કરી દીધું હતું અને ‘પ્રીતના સપના’ અને ‘સુરજ ઢળતી સાંજ’ જેવા ગઝલ આલબમ ઘણાં લોકપ્રિય પણ રહ્યા હતા. આથી તેમણે ગુજરાતી ગઝલોમાં તેમનું ધ્યાન કેન્દ્રિત કર્યું.

બોલિવુડની બદલાયેલી પરિસ્થિતિઓને એમણે અત્યંત હકારાત્મકતાથી લીધી હતી. તેમના મતે આજની ફિલ્મોના કોન્સેપ્ટ્સ સાથે તેમનો અવાજ મેચ થઈ શકતો નથી. આથી તેમને ઓફર મળતી બંધ થઈ ગઈ. તેમનું માનવું છે કે આ સિરસ્તો બોલિવુડમાં વર્ષોથી ચાલતો આવ્યો છે, તેમની જગ્યાએ અલ્કા યાજ્ઞિક અને ઉદિત નારાયણ જેવા નવા ગાયકો આવ્યા અને તેમના પછી સોનુ નિગમનો જમાનો આવ્યો! સિમ્પલ લોજિક! મનહર ઉધાસ તેમના નાના ભાઈઓની કારકિર્દીને લઈ પણ અત્યંત ખુશ છે. તેમણે ત્રણેય ભાઈઓએ સંગીતમાં અનન્ય યોગદાન આપ્યું છે તેનો તેમને ઘણો સંતોષ છે.

તેમના કારણે આજે અનેક ગુજરાતી શાયરોની રચના ઘરે ઘરે પહોંચી છે. અત્યંત સૌમ્ય અને ૠજુ સ્વભાવના મનહર ઉધાસ હાલમાં ભારત સહિત વિદેશોમાં અનેક કાર્યક્રમો આપે છે. તેમના ગઝલ આલ્બમના નામ ‘અ’ શબ્દથી શરૂ થાય છે. હમણાં સુધીમાં તેમના વીસેક ગુજરાતી ગઝલોના આલબમ આવી ચૂક્યા છે. કાર્યક્રમ ન હોય ત્યારે પણ તેઓ નિયમિત રિયાઝ કરે છે. તેમના મતે ‘જેમ સમુદ્રમંથન કરવાથી અમૃત મળે એમ નિયમિત રિયાઝ કરવાથી સ્વર વધુ પરિપક્વ અને ધારદાર થાય છે’. 

Tuesday, May 6, 2014

પાઠ્યપુસ્તકમાંથી મંચ સુધી પહોંચેલી વાર્તા





બાળપણમાં ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં ભણવામાં આવતા કેટલાક પાઠ કે કવિતા આપણને આજીવન યાદ રહેતા હોય છે. મોટા થયાં પછી ક્ષેત્ર બદલાઈ ગયું હોવા છતાં અને ભાષા-સાહિત્ય સાથે સ્નાન સૂતકનો સંબંધ રહેવા છતાં પાઠો આપણને શું કામ યાદ રહે છે? કારણકે સ્કૂલમાં પાઠો ભણતી વખતે દોસ્તારો સાથે કરેલી ઘિંગામસ્તી અને ક્લાસમાં શિક્ષક આવે પહેલાં હાકોટા પાડીને ગાયેલી કવિતાઓ સાથે સ્કૂલના સમયની કેટલીક મીઠી યાદો સંકળાયેલી હોય છે. શાળામાં ભણતી વખતે આપણે આવા પાઠોને ગંભીરતાથી ભલે નહીં લીધા હોય પરંતુ મોટા થયાં પછી પેલી યાદોને કારણે આપણે તેને વારંવાર યાદ કરતા હોઈએ છીએ. શાળાના પાઠને અહીં યાદ કરવાનું એટલે બન્યું કે વિવિધ પ્રયોગો કરવા માટે જાણીતા આપણા નાટ્યકાર અભિનય બેંકરે શાળામાં ભણવામાં આવેલી કેટલીક વાર્તાઓ સાથે એક પ્રયોગ કર્યો છે, જેને હવે ગુજરાતીના નાટ્યપ્રેમીઓહજી એક વાર્તાને નામે ઓળખે છે.

હજી એક વાર્તાનું લેખન અને દિગ્દર્શન અભિનયે પોતે કર્યું છે. અહીં પાંચ વાર્તાઓને ભેગી કરીને એક નાટક તૈયાર કરવામાં આવ્યું છે. જોકે નાટકની પાંચેય વાર્તાઓને એકબીજા સાથે કોઈ સંબંધ નથી. બધી વાર્તામાં જો કોઈ સામ્યતા હોય તો વાર્તાઓમાં રહેલું હ્યુમર છે. અગાઉ કેટલાક ગંભીર નાટકો કરી ચૂકેલા નાટ્યકારે વખતે તેમના નાટકને પ્રયત્નપૂર્વક લાઈટ મૂડનું રાખ્યું છે. નાટકની પાંચ વાર્તાઓમાંની બે વાર્તા ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં ભણવામાં આવેલી વાર્તાઓ છે. તો બાકીની ત્રણ પણ અન્ય ગુજરાતી લેખકોની વાર્તા કે નિબંધ છે.

હજી એક વાર્તાનું સર્જન કઈ રીતે થયું પાછળ એક રસપ્રદ વાત છે. અભિનય અમદાવાદમાં નાટક સંબંધિત ઘણી બધી પ્રવૃત્તિઓ કરે છે. એક વાર કોઈ વર્કશોપ દરમિયાન તેઓ તેમના વિદ્યાર્થીઓ- મિત્રો સાથે બેસીને વાંચનની એક્સરસાઇઝ કરી રહ્યા હતાં ત્યારે તેમને વિચાર આવ્યો કે આપણને ભણવામાં આવેલી બધી વાર્તાઓ પરથી એક નાટક તૈયાર કરવામાં આવે તો કેવું? કોઈ પણ એક વાર્તા પરથી મોટું નાટક તૈયાર કરી શકાય એમ હતું આથી જુદા જુદા લેખકોની વિવિધ કૃતિઓ લેઈને નાટક તૈયાર કરવાનું તેમણે નક્કી કર્યું, જેથી નાટકમાં પણ વિવિધતા જળવાઈ રહે. ત્યાર બાદ તેમણે આઠમા ધોરણથી લઈને બારમા ધોરણ સુધીના ગુજરાતીના પાઠ્યપુસ્તકોનો અભ્યાસ શરૂ કર્યો અને તબક્કાવાર વાર્તાઓની પસંદગી કરતા ગયા.

જોકેહજી એક વાર્તાની પાંચેય વાર્તાઓ પાઠ્યપુસ્તકોમાંથી લઈ શકાઈ નથી. માટેગુજરાત ગાર્ડિયન અભિનય બેંકરનો સંપર્ક કર્યો ત્યારે તેમણે જણાવ્યું કે, ‘મારો મૂળ વિચાર તો બધી વાર્તાઓ પાઠ્યપુસ્તકોમાંથી લેવાનો હતો. પરંતુ કેટલીક વાર્તાઓ એવી હોય છે, જે વાંચતી વખતે ઘણી ઉત્તમ પૂરવાર થાય પરંતુ તેનું નાટ્યરૂપાંતર કરવા જઈએ ત્યારે કેટલીક તકલીફો ઊભી થતી હોય છે. આથી નાટકનું હિત જોઈને મેં પાઠ્યપુસ્તકનું વળગણ છોડી દીધું અને આપણા સાહિત્યમાં લખાયેલી અન્ય કૃતિઓ પર નજર દોડાવી.’ પાઠ્યપુસ્તકમાંથી વાર્તાકાર સરોજ પાઠકનીમારો અસબાબઅને મોતી પ્રકાશનીઝેનીનામની વાર્તાઓ લેવાઈ છે. બાકીની ત્રણ વાર્તાઓમાં હાસ્યલેખક બકુલ ત્રિપાઠીનો નિબંધક્રિકેટના કામણ’, જ્યોતિન્દ્ર દવેનીચોક્કસ અચોક્કસઅનેમુંબઈના ઘાટીનામની વાર્તાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

બધી વાર્તાઓની પૃષ્ઠભૂમિ અલગ અલગ છે અને તેમને એકબીજા સાથે કોઈ સંબંધ નથી. ‘મારો અસબાબમાં લગ્ન પછી પતિ પત્નીની એક બીજા પ્રત્યેની લાગણી અને તેમના સંબંધો વિશેની વાત છે. તોઝેનીમાં કોમવાદથી પર એવા બે બાળપણના મિત્રોની વાત કરવામાં આવી છે. દર્શકોનેમુંબઈના ઘાટીમાં ઘણી મજા પડે કારણકે અહીં મુંબઈમાં વસી ગયેલા એક ગુજરાતીને ઘરઘાટી શોધવામાં કેવી તકલીફ પડે છે અને ઘાટી મળ્યાં પછી તેની સાથે કયાં પ્રકારની લમણાંઝીંક કરવી પડે છે વિશેની અત્યંત હ્યુમરસ વાત મંચ પર આલેખવામાં આવી છે. અભિનયે પાંચેય વાર્તામાં આજના સમયની માગ મુજબ કેટલાક સુધારા વધારા પણ કર્યા છે. મોટા ભાગની વાર્તાઓમાં વાર્તાતત્ત્વ અને મૂળ લેખકોની શૈલી જાળવીને તેમને લગભગ ફરીથી લખવામાં આવી છે. જોકે અભિનય વાર્તાઓના મૂળ લેખકોના વખાણ કરતા થાકતા નથી. તેમના મતે, ‘આપણા સાહિત્યમાં કેટલાક લોકોએ અભૂતપૂર્વ પ્રદાન આપ્યું છે, જેનાં ફળ આજે પણ આપણે ચાખી રહ્યા છીએ.’   

હજી એક વાર્તાગઈ ૨૨મી માર્ચે મુંબઈના એનસીપીએ ખાતે સૌથી પહેલી વખત ભજવાયું હતું. પહેલો શૉ થયો ત્યારે એક તરફ મુંબઈના નાટ્યજગતના દિગ્ગજો બેઠા હતા તો બીજી તરફ માત્ર પ્રયોગ ખાતર તૈયાર કરવામાં આવેલું નાટક પહેલી વખત ભજવાઈ રહ્યું હોવાથી અભિનયને થોડી ચિંતા હતી પરંતુ નાટક જેમ ઉઘડતું ગયું તેમ પરિસ્થિતિ થાળે પડતી ગઈ અને નાટકના અંતમાં લોકોએ ઊભા થઈને નાટકને વધાવી લીધું. ગયા સપ્તાહે અમદાવાદમાં નાટકનું પ્રિમિયર યોજાયું હતું અને ત્યાં પણ નાટકને મુંબઈ જેવી સફળતા મળી હતી. લોકોના સારા પ્રતિભાવ જોયા પછી અભિનય તેમના નાટકને કમર્શિયલ નાટકનું રૂપ આપીને ગુજરાતભરમાં તેનું મંચન કરવાની ઇચ્છા ધરાવે છે.

ગુજરાતી નાટ્યપ્રેમીઓ માટે નાટક અત્યંત ફ્રેશ છે અને પ્રયોગને કારણે તેમને કંઇક નવું જોવા પણ મળશે. અભિનય બેંકરના પાછલા નાટકો જોતાં સ્પષ્ટ ખ્યાલ આવે છે કે તેઓ ચીલાચાલુ વિષયો પર નાટક તૈયાર કરવા કરતા ખૂબ વાંચી કે વિચારીને કોઈ નવા વિષય પર કામ કરવાનું વધુ પસંદ કરે છે. પહેલા તેમણે અમૃતા પ્રીતમના જીવન પરમેં તુમ્હે ફિર મિલુંગીઅને મન્ટોના જીવન પરચલતા ફિરતા બમ્બઈજેવાં નાટક તૈયાર કર્યાં હતા. ‘ લોકોને માત્ર હલકી કોમેડી ખપે છેએવા ગુજરાતીઓ પર લાગતા રહેલા પાયા વગરના ટોણાને સદંતર ખોટા ઠેરવીને મુંબઈ સહિતના ગુજરાતીઓએ તેમના બંને નાટકો(પ્રયોગો)ને ખૂબ વખાણ્યાં હતા. ‘હજી એક વાર્તાવખતે પણ અભિનયને એવો છુપો ધ્રાસ્કો હતો કે લોકોને ક્યાંક પસંદ આવ્યું તો ભારે થશે. પરંતુ વખતે પણ તેમની ધારણા ખોટી નીવડી અને મુંબઈ- અમદાવાદના દર્શકોએ તેમના પ્રયોગને વધાવી લીધો.